દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે હાલમાં સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી પર કોઈ આદેશ આપવા માટે મનાઈ ફરમાઈ છે. સર્વોચ્ચ અદાલતે આ સંદર્ભમાં એનટીએને નોટિસ ફટકારીને બે અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. હવે નીટ ૨૦૨૪ પરીક્ષા સંબંધિત તમામ અરજીઓની સુનાવણી ૮ જુલાઈએ થશે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે નીટ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટે ગ્રેસ માર્કસવાળા ૧૫૬૩ વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષાનો આદેશ આપ્યો નથી. સુનાવણી દરમિયાન, એનટીએ દ્વારા તેને રદ કરવાની વાત કરી અને ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપ્યો. અરજીકર્તાએ સીબીઆઈ તપાસની માંગ કરી, જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, શું સુપ્રીમ કોર્ટ આજે જ તપાસનો આદેશ આપી શકે છે? કોર્ટે હાલમાં સીબીઆઈ તપાસ પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. તે જ સમયે, એક અરજદારે પેપર લીક કેસમાં નોંધાયેલી એફઆઈઆરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી ૮ મી જુલાઈએ થશે.
આ કેસમાં જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચે સુનાવણી દરમિયાન સીબીઆઈ તપાસની માંગ પર હજુ સુધી કોઈ આદેશ આપ્યો નથી. હવે આ કેસની સુનાવણી ૮ મી જુલાઈએ થશે. સીબીઆઈ તપાસની માંગ કરતી અરજીમાં મોટા પાયા પર પેપર લીકની ઘટનાઓને ટાંકીને ઈચ્છિત પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે અપનાવવામાં આવી રહેલી યુક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉદાહરણ તરીકે, ઓડિશા, ઝારખંડ અને ગુજરાત જેવા રાજ્યોના વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષામાં બેસવા માટે ગુજરાતના ગોધરા ખાતેનું એક ચોક્કસ કેન્દ્ર પસંદ કર્યું. આ વિદ્યાર્થીઓએ નીટ ક્લીયર કરવા અને ગોધરામાં એક ખાસ કેન્દ્ર જય જલારામ સ્કૂલમાં પોતાનું કેન્દ્ર પસંદ કરવા માટે રૂ. ૧૦ લાખની લાંચ આપી હતી.

