Gujarat

અંબાજી એસ.ટી ડેપો ખાતે સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

ગુજરાતનાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રોજ અનેક યાત્રાળુઓ ગુજરાત એસ.ટી.ની બસો દ્વારા દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે યાત્રાળુઓને સ્વચ્છ અને સુંદર બસોની સુવિધા મળે તે માટે એસ.ટી ડેપો દ્વારા સફાઈ ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત અંબાજી એસ.ટી ડેપો ખાતે તારીખ 22 અને 23 જૂન એમ બે દિવસ સુધી સઘન સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સફાઇ ઝુંબેશ કાર્યક્રમાં સતત બે દિવસ સુધી ખુબ સરસ અને ઉડીને આંખે વળગે તેવી સફાઈની કામગીરી સફાઈ કર્મવીરો દ્વારા કરવામાં આવી હતી.

પાલનપુર વિભાગના વિભાગીય નિયામકના સતત માર્ગદર્શન તથા ડેપો મેનેજર રઘુવીરસિંહ અને સ્ટાફના સતત મોનિટરિંગ હેઠળ સમગ્ર બસ સ્ટેશનની સુંદર રીતે સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન તમામ બસોની સુંદર રીતે સફાઈ કરવામાં આવી હતી.

મુસાફરોને વધુ સારી અને સ્વચ્છ બસોમાં મુસાફરીનો લાભ મળે અને મુસાફરોની લાગણી નિગમ સાથે જોડાય તથા મુસાફરોની જાગૃતતા થકી સફાઈ અભિયાન ખરેખર સફળ બને તેવું આયોજન કરવામાં આવ્યું હતું.