Gujarat

આજથી ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર શરુ

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ બાદ ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થશે. લોકસભાનું આ સત્ર ૩ જુલાઈ સુધી ચાલશે. સત્રના ૧૦ દિવસમાં કુલ ૮ બેઠકો થશે. આ સત્રની શરૂઆત નવા ચૂંટાયેલા સભ્યના શપથ સાથે થશે, જે બે દિવસ સુધી ચાલશે. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસદ તરીકે શપથ લેશે. પ્રથમ દિવસે કુલ ૨૮૦ સાંસદો શપથ લેશે. આ પછી ૨૬ જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે અને ૨૭ જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. સત્રના છેલ્લા બે દિવસે સરકાર રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ લાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨ જુલાઈએ લોકસભા અને ૩ જુલાઈએ રાજ્યસભાને સંબોધિત કરશે.

આ પછી બંને ગૃહમાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાજપના નેતા અને સાત વખતના સાંસદ ભર્તૃહરિ મહતાબને લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. મહતાબ નીચલા ગૃહના નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવશે અને લોકસભા અધ્યક્ષની ચૂંટણી સુધી સંસદની કાર્યવાહી માટે તેમની ફરજાે નિભાવશે. રાષ્ટ્રપતિએ લોકસભાના પાંચ સિનિયર સભ્યો – કે સુરેશ (કોંગ્રેસ), ટી આર બાલુ (દ્રવિડ મુનેત્ર કષગમ), રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તે (બંને ભાજપ) અને સુદીપ બંદોપાધ્યાય (તૃણમૂલ કોંગ્રેસ)ની પણ નિમણૂક કરી હતી.

જે ૨૪ જૂન થી શરુ થઈ રહેલા લોકસભા સત્રના પ્રથમ ત્રણ દિવસમાં યોજાનારી પ્રક્રિયામાં મહતાબને મદદ કરશે.પ્રોટેમ સ્પીકરને લઈને વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સરકાર પર સંસદની પરંપરાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકારે ૮ વખતના સાંસદ સુરેશના પ્રોટેમ સ્પીકર પદના દાવાની અવગણના કરી છે. જાે કે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસના આરોપોને ગેરમાર્ગે દોરનારા ગણાવીને ફગાવી દીધા છે. કિરેન રિજિજુએ કહ્યું કે મહતાબની પસંદગી એટલા માટે કરવામાં આવી છે.

કારણ કે તેઓ નીચલા ગૃહના સભ્ય તરીકે સૌથી લાંબો કાર્યકાળ ધરાવે છે. રિજિજુએ કહ્યું કે, સુરેશ આઠ વખત સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ તેઓ ૧૯૯૮ અને ૨૦૦૪માં લોકસભાના સભ્ય નહોતા. તેથી સંસદના નીચલા ગૃહમાં તેમનો કાર્યકાળ નિરંતર રહ્યો નહોતો. સુરેશે એમ પણ કહ્યું હતું કે પ્રોટેમ સ્પીકર પદ માટેના તેમના દાવાને અવગણવામાં આવ્યા કારણ કે તેઓ દલિત સમુદાયમાંથી આવે છે.

ચર્ચા છે કે લોકસભાના પ્રથમ સત્રના પહેલા દિવસે સવારે વિપક્ષી ભારતીય ગઠબંધનના સભ્યો સંસદ પરિસરમાં એકઠા થશે. આ પછી બધા એકસાથે ગૃહ તરફ આગળ વધશે. આ તમામ સભ્યો જૂના સંસદ ભવનનાં ગેટ નંબર ૨ પાસે એકઠા થશે, જ્યાં પહેલા મહાત્મા ગાંધીની પ્રતિમા હતી. હવે આ પ્રતિમા બીજી જગ્યાએ ખસેડવામાં આવી છે, જેને પ્રેરણા સ્થળ નામ આપવામાં આવ્યું છે.