પાદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કોલેરાના ત્રણ કેસો મળી આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પાણીજન્ય રોગોથી રોગચાળો ફેલાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્યની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. પાદરા નગરમાં છેલ્લા ત્રણ દિવસથી કોલેરા ફાટી નીકળતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
પાદરા નગર પાલિકા હદ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ત્રણ જેટલા કોલેરાના કેસો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. કેટલાક દિવસથી પેટમાં દુખાવો તેમજ ઝાડા અને ઉલટીના દર્દીઓના કેસો પાદરા સરકારી દવાખાને સારવાર માટે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જ્યાં ત્રણ જેટલા કેસો કોલેરા પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાને લઈને આરોગ્યતંત્ર એ અલગ અલગ પી.એસ.સી.ની ૧૭ પેરામેડિકલ ટીમ દ્વારા પાદરા નગરમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં પાણીમાં ક્લોરીનેશનની તપાસ કરવામાં આવી હતી. તેમજ બીમાર દર્દીઓને સારવાર માટે દવાખાને ખસેડવા સહિત તજવીજ હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મીનાક્ષીબેન ચોહાણ તથા તાલુકા હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓએ પાદરા સરકારી દવાખાન સહિત અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. પ્રાથમિક તારણ મુજબ પાણીજન્ય રોગ હોવાનું તેમજ નગર પાલિકા નજીક પીવાના પાણીમાં દુષિત પાણી મિશ્રિત થતું હોવાનું અનુમાન મનાયું હતું. જે સ્થળની પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ મુલાકાત લીધી હતી.

