Gujarat

જાડા, ડી.આઈ.એલ.આર. અને પી.જી.વી.સી.એલ. વિભાગના પ્રશ્નો અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે અધિકારીઓ સાથે બેઠક યોજી

જામનગર મા રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જાડા, ડી.આઈ.એલ.આર. અને પી.જી.વી.સી.એલ. અધિકારીઓ સાથે જિલ્લાના પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે બેઠક યોજી હતી.

બેઠકમાં મંત્રીએ જામનગરમાં નાઘેડી ગામથી હાઈવે સુધી નવો માર્ગ બનાવવો, દરેડ ગામમાં હાઈવે સુધી સી.સી.માર્ગનું નિર્માણ કરવું, જાડાની સામાન્ય સભા બોલાવવી, નાઘેડીમાં ગટરના પાણીનો નિકાલ કરાવવો અને જિલ્લામાં મંજુર થયેલ વિકાસના કાર્યોની સ્થિતિ જાણી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક બાકી કાર્યો પૂર્ણ કરવા માટે ખાસ સૂચના આપી હતી.

તેમજ જિલ્લામાં રી-સર્વે માપણીની પેન્ડિગ અરજીનો નિકાલ કરાવવો, ખેડૂતોના માપણીના પેન્ડિગ પ્રશ્નોનું નિરાકરણ આવે, અરજી બાદ કે.જે.પી.નોંધ બનાવવી, સર્વે નિયમિત થાય, રણજીતપર ગામના 7 અરજદારોને જ્યોતિગ્રામ કનેક્શન ફાળવવા, જી.ઈ.બી. મીટર ફાળવવા, ધ્રોલ તાલુકાના ગામોમાં રસ્તાઓનુ રી-કાર્પેટીંગ કરાવવું, માં કાર્ડ, આધાર કાર્ડ બનાવવા માટે ગ્રામ્ય કક્ષાએ વિવિધ કેમ્પનું આયોજન કરવું, જર્જરિત તળાવોનું રીપેરીંગ કરાવવું, રેનબસેરા બનાવવા, કોમ્યુનીટી હોલ બનાવવા, જિલ્લામાં નવા આયુર્વેદિક દવાખાનાઓ બનાવવા વગેરે મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ લોકોપયોગી કામો અંગત લક્ષ લઈને તાત્કાલિક રીતે પૂર્ણ કરવા કૃષિ મંત્રીએ ઉપસ્થિત સર્વે અધિકારીઓને જણાવ્યું હતું.