Gujarat

દેશભક્તિની ભાવનાથી તરબોળ થયું ગુજરાત ભવન કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના નેતૃત્વમાં હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો

સ્વતંત્રતા દિન પહેલા ગુજરાત ભવનમાં પણ ‘હર ઘર તિરંગા’ અભિયાન આયોજિત થયું. કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ દેશની શાન સમા તિરંગાને લહેરાવીને કાર્યક્રમનું નેતૃત્વ કર્યું.

ગુજરાત ભવનમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ પરિસરમાં હાજર પ્રત્યેક વ્યક્તિની અંદર દેશભક્તિની ભાવનાઓ ઉમટી રહી હતી. દરેક વ્યક્તિ ભારતમાતા ના નામનો જય જયકાર કરી રહી હતી. ગુજરાત ભવનના તમામ કર્મચારીઓએ હર ઘર તિરંગામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
મોદી સરકારમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્ય મંત્રીનો કાર્યભાર સંભાળી રહેલા નિમુબેન બાંભણિયાએ ગુજરાત ભવનના તમામ કર્મચારીઓને સ્વતંત્રતા દિનની શુભેચ્છાઓ પાઠવી. તેમણે આશા વ્યક્ત કરી કે તિરંગા યાત્રા સફળ થાય, દેશનો દરેક નાગરિક આ યાત્રામાં જાેડાય અને પોતાની દેશભક્તિની ભાવનાને બુલંદ કરે.

વડાપ્રધાનશ્રીએ કરી હતી અપીલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ પર દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાનશ્રીએ દેશના નાગરિકોને વિનંતી કરી હતી કે તેઓ પોતપોતાના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવે.

૨૮ જુલાઈના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમની ૧૧૨મી કડીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં હિસ્સો લેવાનું આહ્વાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ‘હર ઘર તિરંગા’ અભિયાન, આઝાદીના અમૃત મહોત્સવનો હિસ્સો છે. તેની શરૂઆત ૨૦૨૧માં દેશના નાગરિકોને તિરંગો ઘરે લઇ આવવા અને ભારતની આઝાદીના ૭૫ વર્ષોના ઉપલક્ષ્યમાં ઘરમાં ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના ઉજાગર કરવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિમાં વધારો કરવાનો છે.