Gujarat

રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ – છોટાઉદેપુર

બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નું સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં સમાપન
રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતાનું માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા છોટાઉદેપુર તાલુકાના ખેડૂત તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર ખાતે યોજાયેલ બે દિવસીય તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં સમાપન થયું હતુ.
જેમાં વિવિધ ૨૦ સ્ટોલ દ્વારા બેન્કિંગ, રસાયણ વિનાની દવાઓ, પશુપાલન વિભાગ, પ્રાકૃતિક કૃષિની ઉપયોગિતાનું પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ખેડૂતોને ખેતીવાડીના વિવિધ યોજનાઓના સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કરાયું હતું.
 આ પ્રસગે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જબુગામ આણંદ કૃષિ યુનવર્સીટીના વૈજ્ઞાનિક ડૉ.એમ.આર. ડાભીએ  કૃષિ અને બાગાયત પાકોમાં આધુનિક તાંત્રિકતા અંગે વક્તવ્ય અને ડૉ.રંગનાથ સ્વામીએ ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે ઈનપુટના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે વક્તવ્ય આપ્યું હતું.
આ કાર્યક્રમમાં જિ. પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શર્મિલાબેન રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, જીઆરડી કમાંડર લીલાબેન, જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એસ. પંચાલ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર