National

ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાની વીઝા અને ઇમિગ્રેશન નીતિઓમાં મોટા ફેરફારો થયા

એક લાખ લોકોને ભારત મોકલવાની તૈયારીમાં અમેરિકન સરકાર!

તમે H-1B વીઝાનું નામ સાંભળ્યું જ હશે. આ વીઝા અમેરિકામાં કામ કરવા માંગતા વિદેશીઓ ખાસ કરીને ભારતીય નાગરિકો માટે એક મોટું સ્વપ્ન છે. જાેકે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ઇમિગ્રેશન નીતિમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આના કારણે લાખો લોકોનું ભવિષ્ય અનિશ્ચિતતામાં અટવાઈ ગયું છે. H-1B વીઝા ધારકો અને તેમના બાળકો, જેઓ પહેલા અમેરિકામાં સ્થાયી થવા તરફ આગળ વધી રહ્યા હતા, તેઓ હવે નવા નિયમોને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. H-1B વીઝા એ અમેરિકાનો નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે વિદેશી નાગરિકોને ત્યાં કામ કરવાની મંજૂરી આપે છે.

તેનો ઉપયોગ મુખ્યત્વે ટેકનોલોજી, આરોગ્ય અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકો દ્વારા કરવામાં આવે છે. આ વીઝા ધારકો થોડા વર્ષો સુધી અમેરિકામાં કાયદેસર રીતે કામ કરી શકે છે અને તે પછી તેમના પરિવારોને પણ વીઝાના માધ્યમથી તેમની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાની વીઝા અને ઇમિગ્રેશન નીતિઓમાં મોટા ફેરફારો થયા છે. તેમના કાર્યકાળ દરમિયાન H-1B વીઝા ધારકોના બાળકોને આપવામાં આવતી સુરક્ષા દૂર કરવામાં આવી છે. પહેલાં H-1B વીઝા ધારકોના બાળકોને આશ્રિત ગણવામાં આવતા હતા.

અમેરિકામાં જન્મેલા આ બાળકોને પહેલા અમેરિકન નાગરિકતા મળતી હતી પરંતુ હવે આ નિયમ નાબૂદ કરવામાં આવ્યો છે જેના કારણે હજારો ભારતીય ઇમિગ્રન્ટ પરિવારોના સપના ચકનાચૂર થઈ ગયા છે. ૨૦૨૩ના સરકારી ડેટા અનુસાર, લગભગ ૧.૩૪ લાખ ભારતીય બાળકોના પરિવારોને ગ્રીન કાર્ડ મળવાની અપેક્ષા હતી. જાેકે, હવે તેમની વય મર્યાદા પૂરી થાય તે પહેલાં તેમના વીઝા સ્ટેટસની મુદત પૂરી થવાની શક્યતા છે. આ બાળકોને હવે self-deportationનો ડર છે કારણ કે તેમને તે દેશમાં પાછા ફરવાનું કહેવામાં આવી શકે છે જ્યાં તેઓ મોટા થયા હતા. તેમના માતાપિતાના ગ્રીન કાર્ડ અરજીઓનું લાંબું વેઇટિંગ લિસ્ટ છે. જે ૧૨ વર્ષથી લઈને ૧૦૦ વર્ષ સુધીનું હોઈ શકે છે.

આ કારણે પણ આવા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ટેક્સાસની એક કોર્ટે તાજેતરમાં ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ હેઠળ નવા અરજદારોને વર્ક પરમિટ આપવા પર રોક લગાવી દીધી છે. DACA એ દસ્તાવેજાે વિના યુનાઇટેડ સ્ટેટ્સ આવેલા ઇમિગ્રન્ટ બાળકોને બે વર્ષનું કામચલાઉ રક્ષણ પૂરું પાડ્યું. હવે આ બાળકો ૨૧ વર્ષની ઉંમર પછી તેમના માતાપિતાના આશ્રિત વીઝા ગુમાવશે. આ પરિસ્થિતિ ખાસ કરીને ભારતીય ઇમિગ્રન્ટ યુવાનો માટે ચિંતાજનક છે.