National

ઉત્તર પ્રદેશ સરકારે ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવા અને ધાર્મિક સ્થળોથી ૫૦૦ મીટરની હદમાં માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના કડક આદેશો જારી કર્યા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એક મોટો આદેશ જારી કરવામાં આવ્યો છે જેમાં, ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવા અને ધાર્મિક સ્થળોથી ૫૦૦ મીટરની હદમાં માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવા કહેવામાં આવ્યું છે.

શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ અમૃત અભિજાતે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક કતલખાનાઓ બંધ કરાવવા અને ધાર્મિક સ્થળોની નજીક માંસના વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવાનો સુચના આપી છે.

આ પહેલા વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૭ માં જારી કરાયેલા આદેશોને ટાંકીને યોગી સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ધાર્મિક સ્થળોની નજીક ગેરકાયદેસર પશુ કતલ અને માંસના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે. યોગીના આ ર્નિણયનું પાલન કરાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરની સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં પોલીસ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પશુપાલન વિભાગ, પરિવહન વિભાગ, શ્રમ વિભાગ, આરોગ્ય વિભાગ અને ખાદ્ય સુરક્ષા વહીવટના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.

૬ એપ્રિલ ૨૦૨૫ના રોજ રામનવમીના દિવસે આ પ્રતિબંધ લાગુ થશે. આ દિવસે પશુ કતલ અને માંસનું વેચાણ બિલકુલ બંધ રહેશે. યુપી નગર નિગમ અધિનિયમ ૧૯૫૬ અને ખાદ્ય સુરક્ષા અધિનિયમ ૨૦૦૬ તથા ૨૦૧૧ ના બંધારણ હેઠળ યોગી સરકારે અધિકારીઓને નિયમનું ઉલ્લંધન કરનારને કડક સજા કરવાનો નિર્દેશ આપ્યો છે.