Gujarat

ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવનાર ખેડૂતોને હપ્તો નહીં મળે, બે દિવસના કેમ્પમાં 10 હજાર ખેડૂતોની નોંધણી

પીએમ કિસાન સન્માનનિધિ યોજનામાં વડોદરા જિલ્લામાં 19મા હપ્તાનો લાભ કુલ 1,77,440 ખેડૂતોને મળ્યો છે અને 59,400 ખેડૂતોનું રજિસ્ટ્રેશન બાકી હતું. સોમવાર અને મંગળવારે યોજાયેલા ખાસ કેમ્પમાં 10 હજાર જેટલા ખેડૂતોની નોંધણી થઈ છે. જો આ નોંધણી નહીં કરાવવામાં આવે તો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ નહી મળે એવી શક્યતા છે. જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા તા.30-6-2025 અને તા. 1-7- 2025ના રોજ વડોદરા જિલ્લાના તમામ ગામોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત 10,000 થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આ તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારો માટે ભારત સરકારશ્રી દ્વારા એગ્રી સ્ટેક ફાર્મર રજિસ્ટ્રેશન ફરજીયાત કર્યું છે. જે અન્વયે હજુ પણ 50,000 ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન થયું નથી, જેઓને આગામી હપ્તાનો લાભ મળવા પાત્ર થશે નહિ. હજુ આગામી 5 તારીખ સુધી સદર નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવી છે જેની તમામએ નોંધ લેવી અને તમામની નોંધણી કરવા અનુરોધ છે.

આ યોજનાનો લાભ ચાલુ રાખવા માગતા હોય તો ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે જેમાં આધારકાર્ડ, મોબાઈલ નંબર અને 8-અની વિગત લઈ ગ્રામ પંચાયત ખાતે કમ્પ્યુટર ઓપરેટર (VCE), CSC અથવા સેલ્ફ રજીસ્ટ્રેશન મોડ વેબ સાઇટ http://gffr.agristack.gov.in/farmer-registry-gj/#/ પર નોંધણી કરવી લેવા ખેડૂતોને ખાસ અનુરોઘ છે.

ખેડૂત નોંધણી(ફાર્મર રજ્રીસ્ટ્રેશન) કરાવવામાં કોઈ પ્રશ્ન હોય તો ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારી (ખેતી) નો સંપર્ક કરવા જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.