Gujarat

પત્ની સાથેના ઝઘડા બાદ 25 વર્ષીય શૈલેન્દ્રસિંહે માલગાડી નીચે પડતું મૂક્યું

ગોંડલના સુરેશ્વર ફાટક અને ભોજપરા ગામ વચ્ચેના રેલ્વે ટ્રેક પર 25 વર્ષીય શૈલેન્દ્રસિંહ ઉર્ફે પંકજ મહેન્દ્રસિંહ રાજાવતે આત્મહત્યા કરી લીધી છે. ગત રાત્રે આશરે 2 વાગ્યાના સુમારે યુવકે રાજકોટથી ગોંડલ જતી માલગાડી ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું.

ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકને તેની પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાથી વ્યથિત થઈને તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઘટના સ્થળ દૂર હોવાના કારણે, શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ સુરેશ્વર ફાટક પાસે પાર્ક કરવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્યો ત્યાંથી આશરે 2 કિલોમીટર સુધી પગપાળા ચાલીને મૃતદેહ સુધી પહોંચ્યા હતા.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તાલુકા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસ આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે.