Gujarat

ST બસમાં કિન્નરએ મુસાફરોને માર માર્યો, કિમ ચાર રસ્તા પાસે પૈસા બાબતે બબાલ બાદ ઘટના

સુરત જિલ્લાના કિમ ચાર રસ્તા નજીક રાજપીપલા-સુરત રૂટની એસ.ટી. બસમાં કિન્નર દ્વારા મુસાફરો સાથે મારપીટ કરવામાં આવી હતી. પૈસાની ઉઘરાણી બાબતે થયેલી બબાલ બાદ આ ઘટના બની હતી, જેને પગલે બસને પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજપીપલાથી સુરત થઈ ખંગેલા જતી એસ.ટી. બસ કિમ ચાર રસ્તા પાસે ઊભી હતી. તે સમયે કિન્નર બસમાં ચડ્યો હતો અને મુસાફરો પાસેથી પૈસાની માંગણી કરવા લાગ્યા હતા. એક મુસાફરે પૈસા આપ્યા હોવા છતાં, કિન્નરએ વધુ પૈસાની માંગણી કરી હતી અને ‘આટલા ઓછા રૂપિયા ન ચાલે’ તેમ કહી દબાણ કર્યું હતું. આ મામલે બોલાચાલી થતા કિન્નરએ મુસાફર સાથે ઝપાઝપી કરી મારપીટ શરૂ કરી દીધી હતી.

બસમાં થયેલી આ ઘટનાને પગલે બસ કંડક્ટર સાવીનભાઈ ડામોરે તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બસ તેમજ મુસાફરોને કોસંબા પોલીસ મથકની પાલોદ ચોકી લઈ જવામાં આવ્યા હતા. પોલીસ મથકે પણ કિન્નરએ પોલીસ સાથે માથાકૂટ કરી હોવાનું જાણવા મળ્યું છે.

બસના કંડક્ટર સાવીન ડામોરે જણાવ્યું હતું કે, તેમનો રૂટ રાજપીપલાથી સુરત થઈ ખંગેલાનો છે. કિમ ચોકડી પર મુસાફરોને ચઢાવતી વખતે કિન્નર બસમાં ઘૂસી ગયો હતો અને મુસાફર સાથે પૈસા બાબતે ઝઘડો કરી માર માર્યો હતો. આ ઘટનાને કારણે બસ નિર્ધારિત સમય કરતાં લગભગ દોઢ કલાક મોડી પડી હતી. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.