પાટણ :-
૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..
પાટણને મળ્યું એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતું બસ પોર્ટ, વેપાર-રોજગારને પણ મળશે નવી ગતિ….
પાટણને મળ્યું આધુનિક બસ પોર્ટ: ૮ વર્ષની રાહ બાદ ભવ્ય લોકાર્પણ….
પાટણ જિલ્લાના ઇતિહાસમાં આજે વિકાસનું એક વધુ મહત્વપૂર્ણ પાનું ઉમેરાયું છે. છેલ્લા ૮ વર્ષથી જિલ્લાવાસીઓ જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણ આખરે સાકાર બની છે. પાટણ શહેરમાં નવનિર્મિત અત્યાધુનિક **‘બસ પોર્ટ’**નું ભવ્ય લોકાર્પણ રાજ્યના ગૃહ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ વિધિવત રીતે રિબિન કાપી તેમજ તકતીનું અનાવરણ કરી આ નવા બસ પોર્ટને જનતા માટે ખુલ્લું મૂક્યું હતું.
આ અવસરે પાટણ શહેરમાં ખુશી અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી અટવાયેલા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને આખરે પૂર્ણતા મળતાં શહેરીજનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
એરપોર્ટની તર્જ પર તૈયાર થયેલું આઈકોનિક બસ ટર્મિનલ:-
પાટણ શહેરના હાર્દ વિસ્તારમાં બનાવવામાં આવેલું આ નવું ‘આઈકોનિક બસ ટર્મિનલ’ મુસાફરોને આધુનિક અને આરામદાયક સુવિધાઓ પૂરી પાડે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આશરે રૂ. 17 કરોડના ખર્ચે અને 2583 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલ આ બસ પોર્ટનું કામ વર્ષ 2017માં શરૂ થયું હતું.
લાંબા સમયથી શહેરીજનોમાં એક જ પ્રશ્ન હતો કે પાટણને આધુનિક બસ સ્ટેન્ડ ક્યારે મળશે. હવે વર્ષો સુધીની રાહ બાદ શહેરને એક એવું બસ પોર્ટ મળ્યું છે, જે માત્ર પરિવહન સુવિધા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે શહેરની આધુનિક ઓળખનું પણ પ્રતિક બની રહ્યું છે.
આ બસ પોર્ટને એવી રીતે વિકસાવવામાં આવ્યું છે કે મુસાફરોને અહીં એરપોર્ટ જેવી સુવિધાઓનો અનુભવ થાય. તેમાં મુસાફરો માટે વધુ સુવ્યવસ્થિત પ્રતીક્ષાલય, બેઠક વ્યવસ્થા, ભોજનની સુવિધા, શોપિંગ સ્પેસ, તેમજ અન્ય આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
માત્ર બસ સ્ટેન્ડ નહીં, શહેરના વેપાર અને રોજગાર માટે પણ આશીર્વાદરૂપ:-
નવું બસ પોર્ટ પાટણ માટે માત્ર મુસાફરીનું કેન્દ્ર નહીં, પરંતુ શહેરના વેપાર અને આર્થિક ગતિવિધિઓ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. છેલ્લા લગભગ ૮ થી ૯ વર્ષથી જૂના બસ સ્ટેન્ડ વિસ્તારથી વેપારીઓનો વ્યવસાય અસરગ્રસ્ત બન્યો હતો, જેના કારણે બજારમાં આવનજાવન અને ગ્રાહક સંખ્યા બંનેમાં ઘટાડો નોંધાયો હતો.
હવે બસ પોર્ટ ફરી શહેરના કેન્દ્રસ્થાને કાર્યરત થતાં વેપારીઓમાં નવી આશા જાગી છે. વેપારીઓ માને છે કે નવા બસ પોર્ટના પ્રારંભ સાથે શહેરના બજારોમાં ફરી ચહલપહલ વધશે અને ધંધા-રોજગારમાં ગતિ આવશે.
વેપારીઓમાં ખુશી: બજારમાં ફરી 30 ટકા સુધી તેજી આવવાની આશા:-
પાટણ વેપારી એસોસિયેશનના પ્રમુખ મહાશુખલાલ મોદી તેમજ વેપારી હરેશ મોદીએ નવા બસ પોર્ટના પ્રારંભને પાટણ શહેર માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી બસ સ્ટેન્ડનું સ્થળાંતર થતાં શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે શહેરના હાર્દ વિસ્તારમાં ફરીથી બસ સ્ટેન્ડ શરૂ થતાં ગ્રાહકો સાથેનો સંપર્ક અને વ્યવસાયિક સંબંધોમાં આવેલું અંતર દૂર થશે અને સમગ્ર બજારમાં ફરીથી 30 ટકા સુધી તેજી આવવાની આશા છે. વેપારીઓ માટે આ બસ પોર્ટ નવા વેપારિક જીવનનું પ્રતિક બની રહ્યો છે.
મુસાફરોને એક જ છત નીચે મળશે અનેક સુવિધાઓ:-
આધુનિક બસ પોર્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે મુસાફરોને હવે માત્ર બસ પકડવા માટે જ નહીં, પરંતુ આરામદાયક અને સુવિધાસભર મુસાફરી માટેનું સંપૂર્ણ માહોલ મળશે. અહીં મુસાફરોને પ્રતીક્ષા દરમિયાન મનોરંજન, ભોજન, ખરીદી અને અન્ય નાગરિક સુવિધાઓ પણ એક જ છત નીચે ઉપલબ્ધ થશે.
આથી પાટણ સહિત આસપાસના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે મુસાફરીનો અનુભવ વધુ સરળ, સુરક્ષિત અને અનુકૂળ બનશે. ખાસ કરીને મહિલાઓ, વડીલો અને વિદ્યાર્થીઓ માટે આ બસ પોર્ટ વધુ ઉપયોગી સાબિત થશે.
દૈનિક 823 બસ ટ્રિપોનું સંચાલન, હજારો મુસાફરોને મળશે સીધો લાભ:-
પાટણ એસ.ટી. ડેપો માટે આ બસ પોર્ટ એક મોટું પરિવર્તન સાબિત થવાનો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પાટણ એસ.ટી. ડેપો દ્વારા દરરોજ 823 બસ ટ્રિપોનું સંચાલન કરવામાં આવે છે અને ડેપોની બસો દરરોજ અંદાજે 34,866 કિલોમીટરનું અંતર કાપે છે.
આ સમગ્ર ડેપોનું સંચાલન 20 કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે, જ્યારે ડ્રાઇવર, કંડકટર અને વહીવટી સ્ટાફ સહિત કુલ અંદાજે 350 જેટલા કર્મચારીઓ ડેપો સાથે જોડાયેલા છે. આથી નવું બસ પોર્ટ માત્ર ઇમારત નહીં, પરંતુ એક સશક્ત અને વ્યાપક જાહેર પરિવહન તંત્રનું કેન્દ્ર બની રહ્યું છે.
પાટણના વિકાસમાં ઉમેરાયો વધુ એક સોનેરી અધ્યાય:
પાટણ માટે નવું બસ પોર્ટ શહેરના વિકાસ, સુવિધા અને આધુનિકતાનું પ્રતિક બની રહ્યું છે. વર્ષો સુધી જે પ્રોજેક્ટ લોકો માટે અધૂરી આશા સમાન હતો, તે હવે હકીકતમાં ફેરવાયો છે. આ બસ પોર્ટ શરૂ થતાં મુસાફરોને સગવડ, વેપારીઓને ગતિ અને શહેરને નવી ઓળખ મળી છે.
આ ભવ્ય લોકાર્પણ સાથે પાટણ શહેર હવે જાહેર પરિવહન ક્ષેત્રે પણ આધુનિક માળખાકીય સુવિધાઓ ધરાવતું શહેર બનીને ઉભર્યું છે. પાટણ જિલ્લાના લોકો માટે આ દિવસ લાંબા સમય સુધી યાદગાર બની રહેશે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર




