રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવા અને સામાજિક કુરિવાજોમાં પરિવર્તન લાવવા માટે નવા બંધારણની રચના અંગે ચર્ચાઓ કરવામાં આવી.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા ત્રિકમજી ભગવાનના મંદિર પરિસરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક સમાજના પ્રમુખ સુરેશભાઈ જાદવના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં સમાજના બંધારણ અને સામાજિક સુધારણાના મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્યત્વે સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન, મરણ વિધિ અને સગાઈ દરમિયાન થતા બિનજરૂરી ખર્ચાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં દેખાદેખી અને પ્રતિષ્ઠાના નામે કરવામાં આવતા અતિશય ખર્ચ મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આર્થિક બોજ બની રહ્યા છે. ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં કરવામાં આવતું ભવ્ય ડેકોરેશન અને અન્ય બિનજરૂરી ખર્ચાઓને મર્યાદિત કરવા તેમજ સામાજિક રિવાજોમાં સમયાનુકૂળ પરિવર્તન લાવવા અંગે સભ્યો દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, સમાજની દીકરીઓના આંતર જ્ઞાતિ લગ્નોના વધતા કિસ્સાઓ અને તેને અટકાવવા માટેના ઉપાયો અંગે પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ સામાજિક પડકારોને પહોંચી વળવા માટે સમાજના એક નવા અને મજબૂત બંધારણની રચના કરવા અંગે વિચાર-વિમર્શ થયો હતો.આ બેઠકમાં ત્રિકમજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી મનુભાઈ રીબડી, ટ્રસ્ટી અમરતભાઈ સેવક, નટુભાઈ દરજી (ધનોરા), મંત્રી ધીરજભાઈ દરજી, હરિભાઈ સુથાર ( ચલવાડા ), રઘુરામભાઈ દરજી, નનુભાઈ દરજી, પ્રવિણભાઇ દરજી ( સિદ્ધપુર ) દિનેશભાઈ દરજી સહિત સમાજના પ્રતિનિધિઓ, ટ્રસ્ટીઓ અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર



