બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત
નવા દેલવાડા પાસે આઈશર ચાલકે 8 પદયાત્રીઓને અડફેટે લીધા; 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
મહેસાણા જિલ્લામાં અવારનવાર બનતી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતનો ઉમેરો થયો છે. સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામથી બહુચરાજી દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને સોમવારે રાત્રે નવા દેલવાડા પાસે કાળમુખા આઈશર ચાલકે અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરુણ દુર્ઘટનામાં બે આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય પાંચ પદયાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનાની વિગત:
પ્રાપ્ત વિગતો અનુસાર, સિદ્ધપુરના ધનાવાડાથી રવિવારે બપોરે અંદાજે 60 જેટલા પદયાત્રીઓનો સંઘ શંખલપુર અને બહુચરાજી જવા માટે રવાના થયો હતો. સોમવારે રાત્રે આશરે 10:30 વાગ્યાના સુમારે જ્યારે સંઘ નવા દેલવાડા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક આઈશર ગાડીના ચાલકે પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓ સાથેનો રથ પણ દૂર સુધી ફંગોળાઈ ગયો હતો.
બે યુવકોએ જીવ ગુમાવ્યા:
આ અકસ્માતમાં કુલ 8 પદયાત્રીઓ અડફેટે આવ્યા હતા. જેમાંથી ઠાકોર દલપતજી અને ઠાકોર લાલાજીભાઈ નાગજીભાઈ નામના બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા. અકસ્માત બાદ સમગ્ર પંથકમાં અને પદયાત્રીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઈજાગ્રસ્તોની હાલત નાજુક
ઘટનામાં ઘાયલ થયેલા અન્ય પાંચ પદયાત્રીઓને તાત્કાલિક સારવાર અર્થે બહુચરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓની હાલત વધુ ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર



