પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે અતિ આધુનિક રેલવે સ્ટેશન નિર્માણ પામી રહ્યું છે ત્યારે હાલ આ રેલવે સ્ટેશનની કામગીરી લગભગ 60 થી 70 ટકા પૂર્ણ થઈ ચૂકી છે જે આગામી વર્ષ સુધી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે છે. સોમનાથ રેલવે સ્ટેશનમાં શું વિશેષતાઓ હશે તે અંગે ભાવનગરના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ખાસ કરીને સોમનાથ આવતા યાત્રિકોને રેલવે સ્ટેશને જ પહોંચ્યાંની સાથે સોમનાથ પહોંચ્યાની અનુભૂતિ થાય તે માટે આ રેલવે સ્ટેશનને વિશેષ મંદિર જેવા આર્કિટેક્ચરથી તૈયાર કરવામાં આવી રહ્યું છે.
જેની છત પર અંદાજે 12 થી 14 મીટરના 40 અને ગેટ પર 2 ગુંબજ મળી કુલ 42 જોવા મળશે.સોમનાથ રેલવે સ્ટેશને આવનાર પેસેન્જરો માટે એરપોર્ટ જેવા વેઇટિંગ રૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત યાત્રિકોની સુવિધા માટે 4 એસ્કેલેટર અને 7 લિફ્ટ પણ મૂકવામાં આવશે.આખું બિલ્ડિંગ ગ્રાઉન્ડ પ્લસ 4 માળ મળીને આમ કુલ 5 માળનું બનશે.પહેલા માળે રેલવે સ્ટાફ માટે રૂમ જ્યારે બીજા માળે વેઇટિંગ એરિયા છે.ઉપરાંત ત્રીજા અને ચોથા માળને હોટલ માટે રાખવામાં આવ્યા છે જેમાં પણ લિફ્ટની અલગથી સુવિધા આપવામાં આવશે.

