વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં નવિન બ્રિજની કામગીરી સમયે 7 ફૂટનો એક મગર આવી ચડ્યો હતો. જેથી વન વિભાગની ટીમે પહોંચીને એક કલાકની જહેમત બાદ મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને વિશ્વામિત્રી નદીમાં મુક્ત કર્યો હતો.
વડોદરા શહેરના નાગરવાડા વિશ્વામિત્રી બ્રિજ નીચે કામ ચાલતું હતું. આ સમયે બ્રીજના ખાડામાં મગર ફૂટનો આવી ગયો હતો. કોલ મળતા જ વડોદરા વન વિભાગના નીતિન પટેલ, જીગ્નેશ પરમાર, લાલુ નિઝામાએ જીએસપીસી સંસ્થાના રમેશભાઈ સાથે મળીને ભારે જહેમત બાદ મળીને 7 ફૂટના મગરને રેસ્ક્યુ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.
મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે.
જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.

