જામનગર જિલ્લા જેલમાં કાયદો અને વ્યવસ્થા તથા કેદીઓની સુવિધાઓ સુદ્રઢ કરવાના હેતુથી જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યા અને જિલ્લા પોલીસ વડા (SP) ડો. રવિ મોહન સૈનીએ સંયુક્ત રીતે જેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી.
મુલાકાત દરમિયાન, ઉચ્ચ અધિકારીઓએ જેલના વિવિધ વિભાગોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કેદીઓની બેરેક, રસોઈઘર (મેસ) અને અન્ય આંતરિક વ્યવસ્થાઓની તપાસ કરી હતી. રસોઈઘરમાં કેદીઓને અપાતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાની ખાસ ચકાસણી કરવામાં આવી હતી.

મુલાકાત પૂર્ણ થયા બાદ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જામનગર જિલ્લા જેલ અધીક્ષક લુહાર અને જેલ એડવાઈઝરી સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા.

બેઠકમાં જેલના વહીવટી પ્રશ્નો, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને કેદીઓના કલ્યાણ સંબંધિત બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

