રાજકોટમાં ચાંદીપુરાનો એક કેસ પોઝિટિવ આવ્યા બાદ વહીવટી અને આરોગ્યતંત્ર એલર્ટ થઈ ગયુ છે. મધ્યપ્રદેશથી ગોંડલના પાંચિયાવદર ગામે પરિવાર સાથે આવેલી 3 માસની બાળકીનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અહીં 200 ઘરોમાં 1000 થી વધુ લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. હાલ હોસ્પિટલમાં એક દર્દી વેન્ટિલેટર ઉપર તો 3 બાળ દર્દી દાખલ છે. હાલ 6 માંથી 4 ના રિપોર્ટ નેગેટીવ આવી ચૂક્યા છે. આ સાથે જ અહીંથી 5 સેન્ડ ફ્લાયના નમૂના ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આગામી 10 દિવસ સુધી આરોગ્યની ટીમ ત્યાં ખડેપગે રહેશે.
રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસનાં 6 શંકાસ્પદ કેસ સામે આવી ચૂક્યા છે. જેનું સેમ્પલ રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યું છે. જેમાંથી 1 નો રિપોર્ટ પોઝિટિવ છે જ્યારે 4 નો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. હાલમાં 3 દર્દી દાખલ છે. એક વેન્ટિલેટર ઉપર અને 2 સ્ટેબલ છે. ગોંડલના પાંચિયાવદરમાંથી ચાંદીપુરાના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેથી ત્યાં 200 થી વધુ ઘરોમાં 1000 થી વધુ લોકોનો સર્વે કરવામાં આવેલો છે. જ્યારે દરરોજ 5 થી 6 ટીમ દ્વારા શંકાસ્પદ કેશોદ આસપાસના સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાંદીપુરાનો પોઝિટિવ કેસ જે વિસ્તારમાં આવ્યો છે તેની આસપાસ IRS (ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેઇંગ)ની કામગીરી કરવામાં આવી રહી છે. જે શંકાસ્પદ કેસો છે તે વિસ્તારમાં જ આગામી 10 દિવસ સુધી આરોગ્યની ટીમ રહેશે. આ મોનિટરિંગ દરમિયાન જરૂર જણાવશે તો તેને હોસ્પિટલે ખસેડવામાં આવશે. આ જગ્યાએથી 5 સેન્ડ ફ્લાયને ટેસ્ટિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવી છે.

