Gujarat

મોરબીના મોટા દહીસરામાં પ્રભારી મંત્રીએ ધ્વજવંદન કર્યું

આજે 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ માળિયા (મિ)ના મોટા દહીસરા ગામે યોજાયો હતો. જિલ્લાના પ્રભારી અને ઉચ્ચ તથા તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

ધ્વજવંદન બાદ પદાધિકારીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ તિરંગાને સલામી આપી હતી. આ સમારોહમાં પોલીસ પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ધ્વજવંદન બાદ જિલ્લાના લોકોને સંબોધતા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ દેશ માટે શહીદ થયેલા વીરો અને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે શ્રીમદ્ રાજચંદ્રજીની પાવન ભૂમિ અને ‘સિરામિક સિટી’ તરીકે વિશ્વભરમાં જાણીતા મોરબીના ખુમારી અને ઉદ્યોગ સાહસિકતાના વારસાને બિરદાવ્યો હતો.

મંત્રીએ મોરબીને વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ડબલ એન્જિન સરકારના જનકલ્યાણકારી અભિગમથી મોરબીમાં શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. તેમણે ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પને સાકાર કરવા દરેક નાગરિકને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સમરસતા થકી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

તિરંગાને સલામી આપ્યા બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, મંત્રીના હસ્તે કલેક્ટર સ્વપ્નિલ ખરેને માળિયા તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મનીષ કાંજીયા, ડીડીઓ વિદ્યાસાગર, એસપી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, આરએસી એસ.જે. ખાચર, ડીઆરડીએ નિયામક નવલદાન ગઢવી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.