Gujarat

10 દિવસની પૂજા-અર્ચના બાદ દશામાની આજે વિદાય

વડોદરામાં 10 દિવસના પૂજા-અર્ચન બાદ આજે (21 ઓગસ્ટ) દશામાની મૂર્તિઓનું આસ્થાભેર વિસર્જન કરવામાં આવશે. ભક્તો જાગરણ કર્યા બાદ મધ્ય રાત્રિથી જ મૂર્તિઓના વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા 9 કૃત્રિમ તળાવોમાં પહોંચશે. આ વર્ષે શહેરમાં સ્થાપિત 16 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન થવાનો અંદાજ છે, જેને ધ્યાનમાં રાખીને પાલિકા અને પોલીસ તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

મૂર્તિ વિસર્જન માટે શહેરમાં 9 સ્થળે વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે મેયર ગીતા મકવાણાના વોર્ડ નંબર 13માં સ્થાનિક લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ વખત નવું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. 38 X 19 ફૂટ લંબાઈ-પહોળાઈ અને 5 ફૂટ ઊંડાઈ ધરાવતા આ તળાવમાં 3 ફૂટ સુધીની આશરે 700 મૂર્તિઓનું વિસર્જન થઈ શકશે.

વિસર્જન સ્થળોએ પૂરતી વ્યવસ્થા પાલિકા દ્વારા તમામ તળાવો પર સફાઈ, લાઈટિંગ, આરોગ્ય, ઈજનેર ટીમ અને ફાયર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તળાવોની આસપાસ રોશની, જેટી, ફ્લોટ્સ, ક્રેન, પાર્કિંગ એરિયા, બેરીકેટીંગ, ફાયર ટેંકર અને નિષ્ણાંત તરવૈયાઓ સહિતની સુરક્ષા સુવિધાઓ ગોઠવવામાં આવી છે. ગત વર્ષે 8 સ્થળોએ 16,350 મૂર્તિઓનું વિસર્જન થયું હતું. આ વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તળાવો સાફ કરીને આગામી ગણેશ મહોત્સવ માટે ફરી તૈયાર કરાશે.