ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોત અને રાજ્યની કથળતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે ધરણાં યોજવામાં આવ્યા હતા.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે AAPના ધારાસભ્ય હેમંત ખવા, સૌરાષ્ટ્ર પ્રમુખ પ્રકાશ દોંગા, જામનગર શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, કોર્પોરેટર જેનબબેન ખફી સહિત પક્ષના અન્ય આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

કાર્યકરોએ હાથમાં વિવિધ લખાણોવાળા બેનરો તથા પક્ષના ધ્વજ સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન તેમણે ભાવનગરની ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ રાજ્યમાં દારૂબંધી અને કાયદો-વ્યવસ્થાનો કડક અમલ કરવાની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત, રાજ્યના ગૃહમંત્રી સહિત સરકાર સામે પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
પોલીસની કાર્યવાહી બાદ લાલ બંગલા સર્કલ ખાતે થોડા સમય માટે રાજકીય માહોલ ગરમાયો હતો. ‘આપ’ ના આગેવાનોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હોવા છતાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હોવાના આક્ષેપો કર્યા હતા.

ભાવનગરમાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યમાં દારૂબંધીના કાયદાના અમલ તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ મુદ્દે ‘આપ’ દ્વારા જામનગરમાં વિરોધ પ્રદર્શન કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

