જામનગર શહેરમાં દસ દિવસના દશા માતાના સ્થાપન બાદ મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું. લાખોટા તળાવ અને લહેર તળાવ નજીક મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાના ભક્તો ડીજે અને ઢોલ-નગારાના તાલે વાજતે-ગાજતે મૂર્તિ વિસર્જન માટે પહોંચ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત દશા માતાની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું.
જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અધિકારી રાજભા જાડેજા અને તેમનો સ્ટાફ ચાર ટ્રેક્ટર સાથે લાખોટા તળાવે હાજર હતો. તળાવના પાણીને પ્રદૂષિત થતું અટકાવવા અને જળચર જીવોને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ ટ્રેક્ટર રાખવામાં આવ્યા હતા. ભક્તો દ્વારા દશા માતાની મૂર્તિઓ અને પૂજા સામગ્રી આ ટ્રેક્ટરમાં સ્વીકારવામાં આવી હતી.

આ ઉપરાંત, નાઘેડી નજીક આવેલા લહેર તળાવ પાસે પણ સોલિડ વેસ્ટ શાખા દ્વારા એક ટ્રેક્ટર તૈનાત કરવામાં આવ્યું હતું. આ વ્યવસ્થાનો હેતુ લહેર તળાવમાં મૂર્તિ વિસર્જન અટકાવવાનો અને કોઈપણ દુર્ઘટના ટાળવાનો હતો. આખી રાતના જાગરણ બાદ માઈ ભક્તો વહેલી સવારે ઉત્સાહભેર મૂર્તિ વિસર્જન માટે ઉમટી પડ્યા હતા, જે ધાર્મિક આસ્થા અને પર્યાવરણ સંરક્ષણના સમન્વયનું દ્રશ્ય હતું.

