રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા ‘શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ’માં રહેતી 17 વર્ષીય સગીરા અને તેના 11 માસના પુત્રનું ગુંદાવાડી સ્થિત પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલના કેસ બારી પાસેથી કોઈ અજાણ્યો શખ્સ દ્વારા અપહરણ કરી ગયો હોવાની ઘટના સામે આવી છે.
આ અંગે બાલાશ્રમ સંસ્થામાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા ચાર્મીબેન વ્યાસ દ્વારા શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવવામાં આવતા પોલીસે અલગ અલગ ટિમો બનાવી સગીરા અને તેના બાળકની શોધખોળ હાથ ધરી છે.

સગીરા પોતાના માતા-પિતા સાથે રહેવા માંગતી ન હોવાથી ધોરાજી તાલુકા પોલીસ દ્વારા ગત 15 ઓગસ્ટના રોજ તેને તથા તેના 11 માસના બાળકને બાલાશ્રમ ખાતે સોંપવામાં આવ્યા હતા. ગત 7 સપ્ટેમ્બરના રોજ સવારે સગીરાને પેટમાં દુખાવો ઉપડતા બાલાશ્રમના કેર ટેકર હેતલબેન ત્રિવેદી તેને સારવાર માટે પદ્મકુંવરબા હોસ્પિટલ લઈ ગયા હતા.
હોસ્પિટલની કેસ બારી પર કેર ટેકર જ્યારે કેસ કઢાવી રહ્યા હતા ત્યારે સગીરાએ પેટમાં દુખાવો થતો હોવાનું કહી સાઈડમાં બેસવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કેર ટેકર કેસ કઢાવીને જોતાં સગીરા અને તેનું બાળક ત્યાં જોવા ન મળતા સંસ્થાના કર્મચારીઓ દ્વારા હોસ્પિટલ પરિસર, ગુંદાવાડી બજાર તથા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે શોધખોળ કરવામાં આવી હતી.

