ઉના દિવ રોડ, ભાવનગર રોડ, વેરાવળ રોડ તેમજ ગીરગઢડા રોડ પર અકસ્માતની ઘટના અવાર નવાર બનતી હોય છે. ત્યારે પુર ઝડપે ચલાવતા વાહન ચાલકો નિર્દોષ લોકોને હડફેટે લઇ માનવ જીંદગીને જોખમમાં મુકી દેતા હોવાની ઘટના સામે આવતી હોય છે. આવીજ એક અકસ્માતની ઘટના ઊના ગીરગઢડા રોડ પર આવેલ ખાપટ ગામ નજીક માતા-પુત્ર વાડીએથી ઘરે પરત ચાલીને જતા હતા. ત્યારે એસ ટી બસના ચાલકે બન્નેને હેડફેટે લેતા ગંભીર ઇજા પોહચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયેલ છે. એસ ટી બસનો ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ એસ ટી બસ નં.જીજે ૧૮ ઝેડ ૦૬૭૯ નો ચાલક પુરપાટ ઝડપી ચલાવી વડવીયાળા થી ઉના તરફ આવતો હોય એ દરમ્યાન ખાપટ ગામે રહેતા ભાવનાબેન અશ્વિનભાઇ બાંભણીયા તેમજ તેમનો મોટો દિકરો રાહુલભાઇ બાંભણીયા બન્ને ગુરૂવારે સાંજના સાડા છ વાગ્યાની આસપાસ માતા-પુત્ર પોતાની વાડીયેથી ખાપટ ગામે ઘરે ચાલીને આવતા હતા. ત્યારે ખાપટ-વડવીયાળા ગામ વચ્ચે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે વડવીયાળા તરફથી પુર ઝડપે આવતી એસ ટી બસના ચાલકે બન્ને માતા-પુત્રને હડફેટે લેતા ભાવનાબેનને માથાના ભાગે ફેક્ચર થયેલ તેમજ રાહુલભાઇને ડાબા હાથના ખંભાના ભાગે ફેક્ચર કરી દેતા રસ્તા પરથી પસાર થતાં રાહદારીએ ઇમરજન્સી ૧૦૮ ને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે બન્ને ઇજાગ્રસ્તોને ઉના ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા. આ અકસ્માતની ઘટના બનતા એસ ટી બસના ડ્રાઇવર અને કંડક્ટર બસ મુકી નાશી છુટ્યા હતા. આ બનાવ અંગે અશ્વિનભાઇ ભીમભાઇ બાંભણીયાએ પોલીસમાં એસ ટી બસના ચાલક વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.
