રાજકોટ
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી સરકારી હોસ્પિટલ સિવિલમાં અત્યારે રાજકોટ શહેર-જિલ્લાના કુલ ૪૦ દર્દીઓ કોરોનાની સારવાર માટે દાખલ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાહતની વાત એ છે કે આમાંથી એક પણ દર્દીને અત્યારે આઈસીયુ કે વેન્ટીલેટરની જરૂર પડી નથી અને તમામની તબિયત એકદમ સ્થિર છે. આ અંગે સિવિલ સર્જન ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું કે,કોવિડ હોસ્પિટલમાં અત્યારે કુલ ૪૦ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના દર્દીઓ સમાવિષ્ટ છે. કુલ ૪૨ દર્દીઓમાંથી ૩૫ દર્દી એવા છે જેમને અત્યારે માત્ર દવાથી જ સારવાર આપવામાં આવી રહી છે અને તેમાંથી અનેક દર્દીઓને એકાદ-બે દિવસમાં ડિસ્ચાર્જ આપી દેવામાં આવશે. જ્યારે પાંચ દર્દી એવા છે. જેમને ઑક્સિજનની જરૂર હોવાથી અત્યારે તેમને ઓક્સિજનથી સારવાર અપાઈ રહી છે. પરંતુ તેમની તબિયત એકદમ સ્થિર હોવાથી ગંભીરતા જણાઈ રહી નથી. કુલ દર્દીઓમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ પણ સામેલ હોવાનું તેમણે જણાવ્યું હતું. જે દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે તેમાં ૧૪ વર્ષથી માંડી ૭૦ વર્ષના દર્દી સામેલ છે. પાછલી બન્ને લહેરમાં જેવી રીતે કોવિડ કંટ્રોલરૂમ ચાલું કરવામાં આવ્યો હતો તેવો જાે આગામી સમયમાં દર્દીઓના દાખલ થવામાં વધારો થશે તો ફરીથી શરૂ કરવામાં આવશે. એકંદરે અત્યારે દર્દીઓની સંખ્યા ઓછી હોવા ઉપરાંત દરેક દર્દીઓ વાતચીત કરવા માટે સક્ષમ હોવાથી પોતાના જ મોબાઈલ હોસ્પિટલમાં લઈ જઈ શકે છે અને પરિવારજનો સાથે આરામથી વાતચીત કરી શકતા હોવાથી કંટ્રોલરૂમ શરૂ કરવાની જરૂર અત્યારે લાગી રહી નથી. બીજી બાજુ દર્દીઓમાં વધારો થવાને કારણે સિવિલમાં દવાઓનો સ્ટોક કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત આગામી સમયમાં ટેસ્ટીંગ માટેનો કેસ પણ કોવિડ બિલ્ડિંગમાંથી જ નીકળે તેવી વ્યવસ્થા વિચારાધીન છે. મહત્ત્વની વાત એ પણ છે કે સિવિલમાં અત્યારે ટેસ્ટીંગની સંખ્યામાં વધારો થઈ ગયો છે અને લોકો ટેસ્ટીંગ કરવા માટે ફરી સિવિલ તરફ દોટ મુકતાં થયા છે.કોરોનાની ત્રીજી લહેર જેના કારણે આવી છે તે ઓમિક્રોન વેરિયેન્ટનો પ્રથમ કેસ મળ્યાથી અત્યાર સુધી અનેક નિષ્ણાતો કહી ચૂક્યા છે કે આ વેરિયેન્ટ ડેલ્ટા જેટલો ખતરનાક નિવડશે નહીં, જાે કે તેમની આ વાત ઘણે અંશે સાચી પણ ઠરતી હોય તેવી રીતે અત્યારે રાજકોટમાં ગઈકાલે ૫૦૦થી વધુ કેસ નોંધાઈ ગયા છે. જેમાંથી મોટાભાગના લોકો અત્યારે ઘરમાં જ સારવાર મેળવી રહ્યા છે. એક સપ્તાહમાં દર્દીઓ દાખલ થવાનો રેશિયો સાવ ઓછો હતો માત્ર ૭ જેટલા દર્દી સિવિલમાં દાખલ હતા. જયારે આજે એક સપ્તાહમાં આ સંખ્યા ૪૦ પર પહોંચી ગઈ છે.
