માતાજીને કેસરી, સફેદ અને લીલા રંગથી બનેલો ફૂલનો હાર ચડાવવામાં આવ્યો.
મંદિરના પિલર પર ત્રિરંગાનો શણગાર કરવામાં આવ્યો
આજે સમગ્ર દેશમાં 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર દેશભક્તિના ગીતો સંભળાય રહ્યા છે. ત્યારે રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે પણ ત્રિરંગો લહેરાવી મંદિરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ ખોડલધામ મંદિરમાં આજે માતાજીને કેસરી, સફેદ અને લીલા રંગથી બનેલો ફૂલનો હાર ચડાવવામાં આવ્યો હતો.
લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ મંદિર ખાતે આજે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ખોડલધામ મંદિર ખાતે મંદિરની બહારના પિલર પર ત્રિરંગો તેમજ મંદિરના ગર્ભગૃહમાં પણ કેસરી, સફેદ અને લીલા રંગના ફૂલથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. તેમજ માતાજીને ચડાવવામાં આવેલો ફૂલનો હાર પણ કેસરી, સફેદ અને લીલા રંગના ફૂલથી તૈયાર કરવામાં આવ્યો હતો. મંદિરના પ્રવેશ દ્વાર ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ખોડલધામ મંદિર એ વિશ્વનું પ્રથમ એવું મંદિર છે કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ રોજ ફરકાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે પણ ગણતંત્ર દિવસ નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી.


