આંકલાવ
આંકલાવ તાલુકાના વિદ્યાર્થીઓ માટે આંકલાવની ખાનગી શાળામાં કલા મહાકુંભ તાલુકા કક્ષાએ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં કોરોના મહામારીની અતિ ગંભીર સ્થિતિ હોવા છતાં પણ રાજ્ય શિક્ષણ વિભાગ, ગાંધીનગર અને આણંદ જીલ્લા પંચાયત શિક્ષણાધિકારી કચેરીની સુચનાથી આ આયોજન કરાયું હતું. જેને પગલે કલા મહાકુંભ કાર્યકમ અંતર્ગત અનેક શાળાઓમાંથી ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને નિમંત્રિત કરીને વિવિધ કલાઓ મુજબ સ્પર્ધાત્મક આયોજન કરાયું હતું. કાર્યકમ સ્થળે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કલા મહાકુંભ કાર્યકમ દરમિયાન કોરોના મહામારી સંદર્ભે સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇનનુ પાલન કરવામાં આયોજકોએ ઢીલી નીતિ અપનાવી હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટાભાગે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે કલા મહાકુંભ કાર્યક્રમની ઉજવણી માટે મોટીસંખ્યામાં વિધાર્થીઓ એક જ સ્થળે એકત્રિત કરવામાં આવ્યા હોવાથી વાલીઓએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે વધુ ઘાતક હોવાના નિષ્ણાંતોના મત વચ્ચે પણ વિદ્યાર્થીઓને ભેગાં કરાયા હતા.


