અમદાવાદ
મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વન-ડે સિરીઝની બીજી મેચ રમાઈ હતી. કોરોનાના કારણે આ મેચ પણ પ્રેક્ષકો વગર જ રમાડાઇ રહી છે, જ્યારે મેચનું કવરેજ કરવા માટે બીસીસીઆઈએ ૪૫ મીડિયાકર્મીઓને પાસ ઈસ્યુ કર્યા હતા, જેથી સ્ટેડિયમમાં એન્ટ્રી પાસ વગર કોઈ પ્રવેશે નહીં તે જાેવા માટે ચાંદખેડા પોલીસની જુદી જુદી ટીમો સ્ટેડિયમની અંદર સતત પેટ્રોલિંગ કરી રહી હતી. જીસીએના નામે ખોટો પાસ બનાવીને સ્ટેડિયમાં ઘૂસેલા જયપુરના મોહિતસિંઘ રાજપૂત(૨૭)ને ઝડપી પાડ્યો હતો. તેના પાસ પર બ્રોડકાસ્ટ મીડિયા સેન્ટર લખેલું હતું, પરંતુ પોલીસે ખરાઈ કરી તો સામે આવ્યું કે જીસીએ તરફથી કોઈ પાસ ઈસ્યુ કરાયા નથી.પોલીસે સઘન પૂછપરછ કરતાં કબૂલ્યું હતું કે તે સ્ટેડિયમમાં બેસીને સટ્ટો રમવા માટે મિત્ર નાસીરહુસેન ઉર્ફે ઉમાશંકાર સાથે અમદાવાદ આવ્યો હતો. બંને મિત્રોને સ્ટેડિયમમાં પ્રવેશવા માટે જયપુરના શહેનશાહ નામના માણસે નકલી મીડિયાકર્મીના પાસ બનાવી આપ્યા હતા. હાલમાં પોલીસે મોહિતસિંઘની ધરપકડ કરી છે, જ્યારે તેનો મિત્ર ઉમાશંકર રાજસ્થાન ભાગી ગયો હતો. તે બંનેને નકલી એન્ટ્રી પાસ બનાવી આપનાર શહેનશાહ પણ રાજસ્થાન જયપુરનો રહેવાસી હોવાથી પોલીસની એક ટીમ તપાસ માટે રાજસ્થાન જવા રવાના થશે મોહિતસિંઘ અને ઉમાશંકર ભારત-વેસ્ટ ઈન્ડિઝની મેચ પર સ્ટેડિયમમાં બેસીને સટ્ટો રમવા માટે ૧૫ દિવસ પહેલાં અમદાવાદ આવ્યા અને હોટલમાં રોકાયા હતા, પરંતુ આ મેચ પ્રેક્ષકો વગર રમાઈ રહી હોવાથી અંદર એન્ટ્રી મળી શકે તેમ ન હતું. જેથી તે બંનેએ સ્ટેડિયમમાં એન્ટ્રી લેવા માટે મીડિયાકર્મીના નકલી એન્ટ્રી પાસ બનાવડાવ્યા હતા.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વન-ડે મેચ પર સ્ટેડિયમમાં બેસીને સટ્ટો રમાડતો વધુ એક બુકી પકડાયો છે. આ બુકીએ સ્ટેડિયમમાં એન્ટ્રી લેવા માટે મીડિયાકર્મીનો નકલી પાસ બનાવ્યો હતો. આ મેચનું કવરેજ કરવા માટે ૪૫ મીડિયાકર્મીને બીબીસીઆઈએ પાસ ઈસ્યુ કર્યા હતા. બુકી પાસે જે પાસ હતો તે તેણે જીસીએના નામે બનાવ્યો હોવાથી ભાંડો ફૂટ્યો હતો. ઉલ્લેખનીય છે કે પહેલી વનડે દરમિયાન પણ એક બુકી મેદાન પર સટ્ટો રમાડતો ઝડપાયો હતો.
