અમરેલી જિલ્લા કોરોના મહામારીના સમયમાં ગામના સરપંચની ભૂમિકા અતિ મહત્વની : જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક
અમરેલી કલેકટરશ્રીનો જિલ્લાના તમામ સરપંચશ્રીઓ જોગ સંદેશ
અમરેલી, તા: ૨૨ મે
આજદિન સુધીમાં અમરેલી જિલ્લામાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. પરંતુ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગ ખડેપગે કાર્યરત છે. જિલ્લામાં મહાનગરોમાંથી આવતાં લોકોને હોમકોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. અને તે લોકો પર સતત દેખરેખ રાખવા ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાએ સમિતિની રચના પણ કરવામાં આવી છે. ત્યારે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકએ અમરેલી જિલ્લાના દરેક સરપંચશ્રીઓને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
આ તકે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાના આ કપરા સમયમાં ગામના સરપંચ તરીકે આપની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. આપના ગામમાં જિલ્લા કે રાજ્ય બહારથી આવતા લોકોની સાથે સાથે ઘરના તમામ સભ્યોએ ફરજિયાત ૧૪ દિવસ માટે હોમ કોરેન્ટાઈન રહેવું પડશે જેની આપ સૌએ કડક અમલવારી કરાવવાની રહેશે તેમજ આવા વ્યક્તિઓનું અદ્યતન યાદી સહીતનું રજિસ્ટર નિભાવવાનું રહેશે. ઉપરાંત કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે, ગામના સરપંચએ દરેક ઘરના સભ્યોના હાથ પર હોમ કોરેન્ટાઈનનો સિક્કો તેમજ તેમના ઘરની બહાર સ્ટીકર લગાવેલ છે કે કેમ તેનું ધ્યાન રાખવાનું રહેશે. સાથે જ ઘરના દરેક સભ્યોને માસ્ક, હેન્ડવોશ અને સેનિટાઈઝર અંગેની કડક સૂચના આપી તેનું અનુપાલન કરાવવાનું રહેશે. સાથોસાથ ઘરમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો, ૧૦ વર્ષથી નીચેના બાળકો, સગર્ભા બહેનો અને ગંભીર બીમારી ધરાવતા લોકોની ખાસ કાળજી લેવાની રહેશે. ઘરમાં કોઈને પણ તાવ, શરદી જેવા લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રને તાત્કાલિક જાણ કરવાની રહેશે.
સરપંચશ્રીએ કોરોના વોરિયર્સની કમિટીના એક સભ્ય તરીકે ગામના લોકો હોમ કોરેન્ટાઈનના નિયમોનું પાલન કરે છે કે કેમ તેની તકેદારી રાખવાની રહેશે. અને જો કોઈ પાલન ન કરે તો કડકમાં કડક કાર્યવાહી કરવા સંબંધિત વિભાગને તાત્કાલિક જાણ કરવાની રહેશે. કમિટીના સભ્ય તરીકે હોમ કોરેન્ટાઈનમાં રહેલા વ્યક્તિઓને તમામ વ્યવસ્થા મળી રહે છે કે કેમ તેની દેખરેખ રાખવાની રહેશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756


