નવીદિલ્હી
રાજ્યસભાના સાંસદ બ્રિજ લાલે નાણાપ્રધાનને પૂછ્યું હતું કે શું સરકાર ભાગેડુ ઉદ્યોગપતિની જપ્ત કરવામાં આવેલી સંપત્તિને બેંકોને પરત કરવા વિચારી રહી છે જેમના દેવા આ લોકોએ ચૂકવ્યા નથી. સરકારે આ દિશામાં શું પગલાં લીધાં છે? આ ઉદ્યોગપતિઓની જપ્ત કરવામાં આવેલી મિલકતનું કુલ મૂલ્ય શું છે? રાજ્યકક્ષાના નાણા મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચૌકાસીએ તેમની કંપનીઓ દ્વારા તેમની બેંકોમાંથી કુલ રૂ. ૨૨,૫૮૫.૮૩ કરોડની ઉચાપત કરી છે. ૧૫ માર્ચ, ૨૦૨૨ સુધીમાં, તેમની રૂ. ૧૯,૧૧૧.૨૦ કરોડની સંપત્તિ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી છે. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અને ભાગેડુ આર્થિક અપરાધી કાયદા હેઠળ એવી જાેગવાઈ છે કે આ ગુનાઓની સુનાવણી કર્યા પછી અદાલતો મની લોન્ડરિંગમાં સામેલ કોઈપણ મિલકતને ત્રીજા પક્ષના દાવેદારને ટ્રાન્સફર કરી શકે છે. કાયદેસરના વ્યાજ સાથે પરત કરી શકે છે જેમાં બેંકો પણ સામેલ છે. પંકજ ચૌધરીએ કહ્યું કે આ રૂ. ૧૯,૧૧૧.૨૦ કરોડમાંથી રૂ. ૧૫,૧૧૩.૯૧ કરોડની સંપત્તિ સરકારી બેન્કોને પરત કરવામાં આવી છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા લગભગ રૂ. ૩૩૫.૦૬ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું કે ૧૫ માર્ચ, ૨૦૨૨ સુધીમાં છેતરપિંડીના આ કેસોમાં કુલ છેતરપિંડીમાંથી ૮૪.૬૧ ટકા જપ્ત કરવામાં આવ્યા છે અને કુલ નુકસાનના ૬૬.૯૧ ટકા બેંકોને પરત કરવામાં આવ્યા છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અત્રે એ ઉલ્લેખ કરવો યોગ્ય છે કે ૧૫ માર્ચ, ૨૦૨૨ સુધીમાં એસબીઆઈની આગેવાની હેઠળના બેંકોના સંગઠને પ્રવર્તન નિર્દેશાલય દ્વારા તેમને સોંપવામાં આવેલી સંપત્તિના વેચાણમાંથી રૂ. ૭,૯૭૫.૨૭ કરોડ એકત્ર કર્યા હતા.સરકારે ભાગેડુ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીની રૂ. ૧૯,૧૧૧.૨૦ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી છે.


