ગાંધીનગર
દેશ સહિત ગુજરાતમાં હાલ અકસ્માતના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગરના રૂપાલ ગામે રહેતા રીષભ અંબાલાલ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ૨૪મી એપ્રિલના રોજ તે લગ્ન પ્રસંગમાં હતો. તે વખતે તેના નાના ભાઈ કિરણે ફોન કરીને જાણ કરી હતી કે, મામાનો દીકરો રાહુલ, તેની પત્ની વૈશાલી અને ભાણી રોશની બાઈક પર જઈ રહ્યા હતા. એ સમયે મહાત્મા મંદિરથી ફતેહપૂરા કટ પાસે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હોવાથી ત્રણેયને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જેના પગલે રીષભ સિવિલ દોડી ગયો હતો. જ્યાં રાહુલ, વૈશાલી અને ભાણી રોશનીની પ્રાથમિક સારવાર કરી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલે ટ્રાન્સફર કર્યા હતા. અમદાવાદ સિવિલમાં ત્રણેયની ત્રણ દિવસથી સઘન સારવાર ચાલતી હતી. પરંતુ વૈશાલીનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ગઇકાલે બુધવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે રાહુલે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ આપતાં સેક્ટર-૭ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે ત્રણ દિવસ અગાઉ અજાણ્યા વાહનની ટક્કરથી ગંભીર રીતે ઘાયલ બાઈક સવાર મહિલાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે મૃતકના પતિ અને દીકરીને વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે સેક્ટર-૭ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
