વરસાદ થાય એ પહેલાં કામોની માપણી પૂર્ણ કરી જળ સંચયના વધુમાં વધુ કામો હાથ ધરવા મંત્રીશ્રીનું સૂચન
જામનગર તા.૨૩ મે, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરી ખાતે જિલ્લાના સુજલામ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૨ના હાથ ધરવામાં આવેલ કામોની પ્રગતિ તથા લોક ભાગીદારીના કામો અંગે કરવાની થતી કામગીરીના આયોજન અંગે જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી તેમજ સિંચાઇ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી.
બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લો એ દરિયાકાંઠાનો વિસ્તાર છે. ત્યારે વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય તે ખૂબ આવશ્યક છે. ખેડૂતોને આ યોજનાની ફળશ્રુતિ સ્વરૂપે પુષ્કળ લાભો મળી શકે તેમ છે અને આ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. મંત્રીશ્રીએ બેઠકમાં અધિકારીશ્રીઓ સાથે જિલ્લામાં ચાલી રહેલ જળ સંચયના પ્રગતિ હેઠળના કામો, કામોનો પ્રગતિ અહેવાલ તેમજ લક્ષ્યાંક બાબતે વિગતવાર સમીક્ષા કરી હતી અને વરસાદ થાય એ પહેલાં કામોની માપણી પૂર્ણ કરી જળ સંચયના વધુમાં વધુ કામો હાથ ધરવા સૂચન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, અધિક નિવાસી કલેકટર શ્રી મિતેષ પંડયા, ડે. મ્યુનસિપલ કમિશનર શ્રી વસ્તાણી,જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, સર્વે મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, ક્ષાર અંકુશ વિભાગ, સિંચાઇ વિભાગ, પંચાયત સિંચાઇ વિભાગ વગેરે વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦
વિરેન્દ્રસિંહ પરમાર


