રાજકોટ
રાજકોટ શહેરમાં ઉનાળા દરમિયાન પાણી ચોરી કરનારાઓ ઉપર આકરા પગલાં લેવામાં આવનાર છે. તે માટે મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા એક્શન મોડમાં આવ્યા છે. પાણી લોસ ૯ ટકાથી ઘટાડી ૫ ટકા સુધી લાવવા લક્ષ્ય હાંસિલ કરવામાં આવશે. જેને પગલે પાણીચોરી રોકવા ૧૮ વોર્ડમાં ૧૨૩ અધિકારીને ફરજ સોંપવામાં આવી છે.રાજકોટ મનપાના વોટરવર્કસ વિભાગ દ્વારા પાણીચોરી અટકાવવા ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં ૧૧૭૨ ઘરોની ચકાસણી કરવામાં આવી હતી દરમ્યાન ૫ લોકો ડાયરેક્ટ પંપીંગ કરતા પકડાયા હતા. અને વધુ ૨ લોકો ફળિયા ધોતા રંગેહાથ ઝડપાઈ જતા રૂા. ૬૫૦૦નો દંડ કરી એક મોટર જપ્ત કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન ૩ લોકોને નોટિસ ફટકાવામાં આવી હતી. જયારે ૧ ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. પાણી ચકાસણી ઝુંબેશ દરમ્યાન જાે કોઇ આસામી ડાયરેક્ટ પમ્પીંગ કરતા માલુમ પડે તેવા કિસ્સાઓમાં રૂ. ૨ હજારની પેનલ્ટી વસુલ કરવા જે-તે આસામીઓને નોટીસ ઇસ્યુ કરી મુદ્દત આપવામાં આવે છે તેમજ જાે કોઇ ફળિયા ધોતા માલુમ પડે તો તેમની પાસેથી રૂ. ૨૫૦/-નો દંડ વસુલ કરવામાં આવે છે.
