ગાંધીધામ
પૂર્વ કચ્છ એસઓજીની ટીમે ગાંધીધામથી ભચાઉ જતા હાઇવે પર એ.વી.જાેષી પુલિયા નીચે સર્વિસ રોડ પર વોચ ગોઠવી મોરબીના માળીયા તાલુકાના જાજાસર ગામના મહેશભાઇ પરબતભાઇ પરમારની ટ્રકને રોકી તેમાં ભરેલા છુટ્ટા કોલસાનો જથ્થો તથા કોલસાની કાળી ભૂકીના આધાર પુરાવા ન હોતાં ચોરી કે છળકપટથી મેળવેલો હોવાનું જણાતાં રૂ.૧,૦૬,૭૪૦ ની કિંમતનો ૩૫.૫૮૦ ટન કોલસાના શંકાસ્પદ જથ્થા સાથે તેની અટક કરી ટ્રક અને મોબાઇલ સહિત કુલ રૂ.૪૧,૦૮,૭૪૦ નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે એ-ડિવિઝન પોલીસ મથકને સોંપ્યો હતો. આ તપાસમાં પુછપરછ દરમિયાન ખુલેલી હકીકતના આધારે સરકાર તરફે એ-ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ ગોપાલભાઇ નાગશીભાઇ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ૧૯/૫ ના પકડાયેલા માળિયાના જાજાસરના મહેશ પરબતભાઇ પરમારે તેના શેઠ લાકડીયાના અશ્વિનભાઇ પ્રભુભાઇ ગામી તથા સિકંદર (સિકલો) ઉર્ફે સોપારી તથા તેની સાથેના અન્ય બે માણસો સાથે મળી મીઠીરોહર સીમમાં આવેલી ધી ગાંધીધામ ડેવલોપર્સ પ્રા.લિ. કંપનીનના ઓપન બોન્ડેડ પ્લોટની દિવાલ તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી કસ્ટમ ડ્યૂટી ન ભરેલા રૂ.૧,૦૬,૭૪૦ ની કિ઼મતના ૩૫.૫૮૦ ટન કોલસાની ચોરી કરી હતી. તો અગાઉ આ કંપનીમાંથી અંજારના શંભુ ડાંગરના કહેવાથી કિડાણાના શંભુભાઇ મનજીભાઇ આહિર, ટ્રક ડ્રાઇવર રહિમ હુસેન કુરેશી તેમજ લોડર ચાલક સાથે મળી અત્યાર સુધી કુલ રૂ.૨.૫૦ કરોડની કિંમતનો ૩,૦૦૦ મેટ્રિક ટન કોલસાની વારંવાર ચોરી કરી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. કોલસાના આ કાળા કારોબારની ઘટનામાં તપાસ પીએસઆઇ એન.પી.ગોસ્વામી ચલાવી રહ્યા છે પોર્ટ અને ઉદ્યોગોથી ધમધમતા આ સંકુલમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ચોરીઓ કરાતી હોવાની રાવ અનેક વખત ઉઠી છે. હવે જ્યારે પોલીસે આ પ્રકારની ચોરી કરતી ગેંગ સામે તવાઇ બોલાવવાનું શરૂ કર્યું છે ત્યારે ખાસ કોલસાના કાળા કારોબારમાં આગામી દિવસોમાં મોટા ધડાકા થાય તે વાતને નકારી શકાય તેમ નથી.ગાંધીધામ-ભચાઉ હાઇવે પર વોચમાં ઉભેલી પૂર્વ કચ્છ એસઓજીની ટીમે તા.૧૯/૫ ના રોજ ટ્રકમાં લઇ જવાતા રૂ.૧.૦૬ લાખના શંકાસ્પદ કોલસાના જથ્થા સાથે એકની અટક કર્યા બાદ એ-ડિવિઝન પોલીસ મથકને વધુ તપાસ માટે સોંપ્યો હતો. આ તપાસમાં કુલ ૭ આરોપીઓના નામ ખુલ્યા છે અને આ સાતે જણાએ ૧૯/૫ પહેલાં કોઇ પણ સમયે કંપનીમાંથી કસ્ટમ ડ્યૂટી ન ભરેલા રૂ.૨.૫૦ કરોડનો કોલીનો જથ્થો ચોરી કર્યો હોવાની ફરિયાદ સરકાર તરફે એ-ડિવિઝન પોલીસ મથકના એએસઆઇએ નોંધાવી હતી.


