દિયોદર
દિયોદર તાલુકાના વડીયા ગામના અમૃતભાઈ નરસિંહ માળી (ઉં.વ.૨૬) જેઓ છેલ્લા આઠ-નવ વર્ષથી ઇન્ડિયન આર્મીમાં પેરા કમાન્ડો તરીકે ફરજ બજાવે છે તેવો વર્તમાન સમયે આસામ રાજ્યમાં ભારતીય સરહદની સુરક્ષા કરતા હતા. ત્યાંથી તેઓ અમદાવાદ એરપોર્ટ પર હવાઇ માર્ગે આવી પોતાના માદરે વતન દિયોદર તાલુકાના વડીયા ગામે તેમના માતા-પિતા રામેશ્વર વગેરે યાત્રાધામોની યાત્રા કરી પરત ઘરે ફર્યા હતા. ત્યારે માતા-પિતાના આશીર્વાદ લેવા આવતા હતા. અમદાવાદ એરપોર્ટ પર ઉતરી પોતાના મિત્રનું બાઈક લઈ ઘરે આવતા હતા. ત્યારે શિહોરી પાસે આલુવાસ ગામ નજીક બાઇક સાથે આખલો અથડાતાં જવાન રોડ ઉપર પટકાતાં શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે શિહોરી પોલીસને જાણ થતા શિહોરી પી.એસ.આઇ. એ.કે.દેસાઈ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી ૧૦૮ દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમાં જવાનનું મૃત્યુ થયેલ ડોકટરે જાહેર કર્યું હતું. ત્યારે હોસ્પિટલ ખાતે આર્મી જવાનો પોતાના વાહન સાથે આવી સ્વર્ગસ્થને સલામી આપી શિહોરી બજારમાંથી મૃતદેહને લઇ જતી વખતે ઉપસ્થિત તમામ લોકોએ ‘જય હિન્દ’ ના નારા લગાવ્યા હતા અને વાતાવરણ શોકમય બન્યું હતું. આ અંગે મૃતકના કૌટુંબિક કાકા હરેશકુમાર માનાજી માળીએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી લાશનું પી.એમ કરાવી લાશ પરિવારજનોને સોંપી હતી. સ્વર્ગસ્થને સંતાનમાં એક દીકરો છે.અંતિમયાત્રા દરમિયાન દિયોદરના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, કે.પી.માળી, નાનજીભાઈ માળી વગેરે મારી સમાજના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.દિયોદર તાલુકાના વડીયા ગામના જવાન આર્મીમાં પેરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા. જેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ત્યાંથી મિત્રના બાઈક પર પોતાના વતન દિયોદરના વડીયા ગામે આવતા હતા ત્યારે શિહોરી પાસે બાઇક સાથે આખલો અથડાતા નીચે પટકાતાં શરીરે ગંભીર ઇજાઓ થતા કરૂણ મોત નિપજયું હતું. ત્યારે પરિવારજનો સહિત શહેરીજનોમાં ઘેરા શોકમાં મોજુ ફરી વળ્યું હતું. દિયોદર ખાતે અંતિમયાત્રા યોજાઇ હતી તેમજ વડીયા ગામે રાષ્ટ્રીય સન્માન સાથે અગ્નિસંસ્કાર યોજાયા હતા.
