તળાજા
છેલ્લા દસકામાં વિકસતા ડેરી ઉદ્યોગે ગામડે ગામડે દુધની વિપુલ માંગ ઉભી કરી છે જેના કારણે તળાજા તાલુકામાં રચાયેલ સહકારી દુધ મંડળીઓ દ્વારા પશુપાલકો પાસેથી દુધ સંપાદન કરીને દૈનીક રીતે અમુલ, સર્વોત્તમ, મધર, ઉપરાંત સ્થાનીક સહીતની ડેરીઓમાં દુધ સપ્લાય કરે છે. આ ડેરીઓમાં ફેટ માપીને દુધની ગુણવતા નક્કી કરીને તેના ભાવો આપવામાં આવે છે. ઉપરાંત તાલુકાનાં મોટા ગામોમાં પણ દુધ વિતરણ કરતા એકમોનો વ્યાપ વધતો જાય છે જેમાં થતી હરિફાઇને કારણે જાડુ, મીઠુ, મલાઇદાર દુધ બને અને ફેટ વધુ આવે તે માટે વિવિધ હથકન્ડાઓ અપનાવાય છે જે વપરાશકારો માટે હાનીકારક છે. દુધ તથા દુધની બજાવટો જેવી કે દહી, માખણ, ઘી, માવા, મિઠાઇ વગેરેમાં છેલ્લા વર્ષોમાં જ ભાવો લગભગ બમણા થઇ ગયા છે છતા તેમાં કોઇપણ શુધ્ધતાની ખાતરી ન હોય તેવી સ્થિતીમાં આમ વપરાશકારો જાણ્યે અજાણ્યે દૈનિક આહારમાં ભેળસેળનો ભોગ બનવુ પડે છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જીલ્લામાં નિયમીત રીતે તપાસ યોજીને જરૂર જણાય તો સેમ્પલ લઇને લેબોરેટરી તપાસ કરાય છે. જાે ભેળસેળ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આમ છતા કોઇ ચોક્કસ ફરીયાદ હોય તો “ફુડ એન્ડ સેફ્ટીવિભાગ’ બહુમાળી ભવન – ૨ ભાવનગરને ફરીયાદ કરવાથી તપાસ કાર્યવાહી થશે. દુધ જાડુ અને ફેટ વાળુ બને તે માટે તેમાં મધ,ખાદ્યતેલ,એરંડા તેલ,વનસ્પતિ ઘી ઉપરાંત ક્યારેક યુરિયા અને ડિટર્જન્ટ જેવા અખાદ્ય પદાર્થોનો ઉપયોગ થતો હોય છે આવા સંજાેગોમાં અમારી ડેરીઓમાં ખાસ કાળજી રખાય છે. જેમાં શંકાસ્પદ જણાય તો માઇક્રો ડીટેકટરથી તેના નમુના લઇ લેબોરેટરીમાં ચકાસાય છે અને તેમાં ભેળસેળ માલુમ પડે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.જાગૃત નાગરિકોએ શંકા જણાય તો જાતે માન્ય લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરાવવુ અથવા ભેળસેળ પ્રતિબંધક વિભાગને ફરીયાદ કરવી જાેઇએ. તળાજા શહેર અને તાલુકામાં છેલ્લા વર્ષોમાં સ્થાનીક દુધની વિપુલ માંગ અને વધતા જતા ભાવોને કારણે ઉંચા ભાવો મેળવવા દુધને કુત્રિમ રીતે વધુ ફેટવાળુ બનાવવા જાત જાતના નુસખાઓ અપનાવી વિવિધ પ્રકારે દૂધમાં ભેળસેળ થતી હોવાની આમ ફરીયાદ ઉઠી છે તેમજ હવે તો માવો, ઘી, મીઠાઇઓમાં પણ ભેળસેળ થાય છે જેને અંકુશમાં લેવા માટે સંબંધીત વિભાગે આકસ્મીક રીતે ચેકીંગ કરીને કડક કાર્યવાહી કરવી જાેઇએ તેવી આમ વપરાશકારોમાં માંગ ઉઠવા પામી છે.


