લખનૌઉ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં તોફાનના મામલામાં પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયાનું કનેક્શન હોવાની આશંકા છે. દેશમાં ઘણા તોફાનોની સાથે ઉપદ્રવના મામલામાં આ સંગઠનનું ષડયંત્ર રહે છે, આ કારણે કાનપુરની બબાલમાં તેનું ષડયંત્ર હોવાની આશંકા છે. કાનપુરમાં સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસ, રેપિડ એક્શન ફોર્સની ટીમોએ તોફાનીઓ પર નિયંત્રણ મેળવી લીધુ છે. કાનપુરના પોલીસ કમિશનર વીએસ મીણાએ ગૃહ વિભાગ તથા પોલીસના ટોચના અધિકારીઓને જે ઇનપુટ આપ્યું છે જેમાં અચાનક ઉપદ્રવમાં પીએફઆઈના કનેક્શનની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કાનપુરમાં શુક્રવારે થયેલા તોફાનોના મામલામાં ૫૫ લોકો વિરુદ્ધ નામજાેગ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે અજાણ્યા લોકો પર નજર છે. તો પોલીસે અત્યાર સુધી ૩૫ની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ આ હિંસા પાછળ કોનું ષડયંત્ર હતું તેની તપાસ કરી રહી છે. કાનપુર પોલીસ કમિશનર વિજય સિંહ મીણાએ હિંસા મામલે કહ્યુ કે, અમે જવાનોને કહ્યુ કે બધા એલર્ટ અને સજાગ રહીને ડ્યૂટી કરે. અમે લોકો એક રૂટ માર્ચ ફૂટ પેટ્રોલિંગ પણ કરી રહ્યાં છીએ જેથી સામાન્ય લોકોમાં વિશ્વાસ બને. અહીં પૂરતી પોલીસ તૈનાત છે. કમિશનરે કહ્યું કે તંત્ર સાથે વાત કર્યા બાદ કાનપુર બંધની જાહેરાત કરનાર સંગઠને પોતાના બંધને પરત લઈ લીધું હતું, પરંતુ અચાનક હિંસા ભડકી હતી. કાનપુરમાં એમએમએ જૌહર ફેન્સ એસોસિએશનના અધ્યક્ષ હયાત જફર હાશમી સહિત કેટલાક સ્થાનીક નેતાઓએ બંધનું આહ્વાન કર્યું હતું. કાનપુર તોફાન મામલે ત્રણ એરઆઈઆર દાખલ કરવામાં આવી છે. મુખ્ય આરોપી હયાત હજુ ફરાર છે. તેનું કનેક્શન પીએફઆઈ સાથે પણ હોવાની જાણકારી મળી છે. આ કેસમાં ૩૫ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજીતરફ સૂફી ખાનકાહ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂફી કૈસર હસન મજીદીએ કહ્યુ કે આ ઘટનામાં પીએફઆઈ કનેક્શન છે. તેના સક્રિય કાર્યકર્તાની મદદથી આ વિવાદ વધારવાનું કામ કરવામાં આવ્યું છે. તેમણે સરકાર પાસે ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની માંગ કરી છે.
