Gujarat

પ્રાથમિક સ્કૂલોમાં ૧ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી

અમદાવાદ
ગુજરાતમાં ૨૦૧૭થી ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલમાં ૭૭૧ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. પાંચ વર્ષમાં વય મર્યાદાના કારણે નિવૃત,મૃત્યુ થયા હોય અથવા રાજીનામુ આપ્યું હોય તેવા ૨૦૦ થી વધુ શિક્ષકો છે. એટલે કે એક હજાર જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોની સંખ્યા ૮૦૦ જેટલી છે એટલે એક સ્કૂલમાં ૧ થી ૨ શિક્ષકોની ઘટ છે. નાણાં વિભાગ દ્વારા ૭ હજારથી વધુ શિક્ષકોની ભરતી કરવા છૂટ આપવામાં આવી છે. જેથી ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલો માટે શિક્ષકોની ભરતી કરવામાં આવે તો શિક્ષકોની ઘટ ઓછી થઈ શકે છે. મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિત સરકારના અનેક મંત્રીઓએ પ્રવેશોત્સવ સમયે અલગ અલગ જિલ્લામાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી કરોડોના ખર્ચે ધોરણ ૧માં ૨,૯૧,૯૧૨ બાળકો સહિત આંગણવાડીમાં ૫.૭૨ લાખ બાળકોને પ્રવેશ આપ્યો છે. આ બાળકોને પ્રવેશ આપવા તથા કાર્યક્રમ કરવા કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. પરંતુ ૨૦૧૭થી ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં એક હજાર જેટલા શિક્ષકોની ઘટ છે તો તે ભરવામાં આવતી નથી. શાળા સંચાલક મંડળના પત્રમાં કહેવામાં આવ્યં છે કે, સરકારની ગ્રાન્ટની નીતિ તથા શિક્ષકોની ભરતી ના કરવી તે એક તરફ ગ્રાન્ટેડ સ્કૂલો બંધ કરવાનો કારસો રચતો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૧૫ વર્ષમાં અનેક ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવા પામી છે અને હજુ સરકાર દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલો માટે કોઈ રસ રાખવવામાં આવતો નથી. જેના કારણે હજુ વધુ પ્રમાણમાં ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થશે અને આવનાર સમયમાં ગ્રાન્ટેડ સ્કૂલો નાબૂદ થઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.ગુજરાતની ૩૨ હજારથી વધુ પ્રાથમિક શાળાઓમાં મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ અને અધિકારીઓએ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રવેશોત્સવમાં બાળકોને દફતર, પુસ્તકો સહિતની વસ્તુઓ ગિફ્ટમાં આપવામાં આવી હતી. બાળકો હવે સ્કૂલમાં જશે ત્યારે તેમને ભણાવનાર શિક્ષકો જ નહીં હોય તો બાળકો ભણશે કેવી રીતે? રાજ્યની પ્રાથમિક અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં છેલ્લા પાંચ વર્ષથી એક હજાર જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. આ જગ્યાઓ ક્યારે ભરાશે તેની પર પણ સવાલો ઉભા થયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *