મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના માસ્ટરમાઇન્ડને પોલીસે નાગપુરથી ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ આરોપીઓની ઓળખ નાગપુરના એક એનજીઓના માલિક ઇરફાન ખાનના રૂપમાં થઇ છે. આ સાથે જ પોલીસે જણાવ્યું કે કેમિસ્ટ હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ ઇરફાને જ હત્યાની યોજના બનાવી હતી. અન્ય આરોપીઓને હત્યા માટે મોટિવેટ કરવાનું કામ પણ ઇરફાન ખાને જ કર્યું હતું. ૫૪ વર્ષીય કેમિસ્ટની ૨૧ જૂનના રોજ મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં ચાકૂ મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસને શંકા હતી કે મહરાષ્ટ્રમાં નૃશંસ હત્યા ત્યારે થઇ જયારે તેણે ફેસબુક પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ લખી હતી. તે અમરાવતીમાં અમિત મેડિકલ સ્ટોરના નામેથી કેમિસ્ટની દુકાન ચલાવતો હતો. ઘટના રાત્રે ૧૦ વાગ્યાથી ૧૦.૩૦ વાગ્યા દરમિયાનની છે. જ્યારે કોલ્હે પોતાને દુકાન બ૬ધ કરીને બાઇક પર ઘરે જઇ રહ્યો હતો. તેમનો પુત્ર સાકેત (૨૭) અને તેમની પત્ની વૈષ્ણવી એક અલગ વાહનમાં તેમની સાથે હતા. ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ શનિવારે કહ્યું કે હત્યાની તપાસ એનઆઇએ કરશે. પ્રવક્તાએ ટ્વીટ કર્યું કે એનઆઇએ ઉમેશ કોલ્હેની હત્યાની પાછળના કાવતરાની તપાસ કરશે. જેની ૨૧ જૂનના રોજ હત્યા કરી દેવામાં આવી હતી. પ્રવક્તાએ કહ્યું કે એનઆઇએ સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સંબંધોની કોઇપણ પ્રકારની સંલિપ્તતાની ગહન તપાસ કરશે. માસ્ટરમાઇન્ડની ધરપકડ સાથે જ આ કેસમાં અત્યાર સુધી ૭ લોકોની ધરપકડ થઇ ચૂકી છે.


