ઇસ્લામાબાદ
પાકિસ્તાનના કરાચીમાં ઈન્ડિગો વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી. ફ્લાઈટ શારજાહથી હૈદરાબાદ આવી રહી હતી. મળતી માહિતી મુજબ ટેક્નિકલ ખામીના પગલે ફ્લાઈટનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ટેક્નિકલ ખરાબીની સૂચના મળતા ક્રૂ મેમ્બર્સે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો ર્નિણય લીધો. મુસાફરોને હવે બીજા વિમાનથી હૈદરાબાદ લઈ જવાશે. અત્રે જણાવવાનું કે બે અઠવાડિયામાં કરાચીમાં ભારતીય વિમાનનું આ બીજું ઈમરજન્સી લેન્ડિંગ છે. ઈન્ડિગો એરલાઈન્સ તરફથી કહેવાયું છે કે શારજાહ-હૈદરાબાદ ફ્લાઈટના પાઈલટને વિમાનમાં ટેક્નિકલ ખરાબીની જાણકારી મળી. ત્યારબાદ સુરક્ષા કારણોસર વિમાનને કરાચી તરફ ડાઈવર્ટ કરાયું. હાલ મુસાફરોને હૈદરાબાદ લાવવા માટે કરાચી માટે એક વધારાની ફ્લાઈટની વ્યવસ્થા કરાઈ છે. આ અગાઉ ૫ જુલાઈના રોજ સ્પાઈસજેટના વિમાનમાં ખરાબી આવ્યા બાદ કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સ્પાઈસજેટનું આ વિમાન દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું. ખરાબી બાદ ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરાવવું પડ્યું હતું. સ્પાઈસજેટની બીજી ફ્લાઈટથી મુસાફરોને દુબઈ લઈ જવાયા હતા. ત્રણ દિવસ પહેલા જયપુરમાં પણ ઈન્ડિગો વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એન્જિનમાં વાઈબ્રેશન બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

