અરવલ્લી
પાણી પુરવઠા વિભાગ દ્વારા ૨૫૬ કરોડના ખર્ચે ગામડે-ગામડે પાણી પહોંચાડવાની યોજના અમલી બનાવી છે, ત્યારે હલકી ગુણવત્તાવાળું મટીરીયલ અને નબળી કામગીરીના કારણે વારંવાર લાઈનોમાં ભંગાણ સર્જાતા હોય છે અને પાણીનો વ્યય થતો હોય છે. માલપુર નગરમાં ડુંગર પર લાખો લીટર પાણીની કેપેસિટી વાળો ઓવરહેડ ટાંકો અને પંપ બનાવ્યો છે અને એમાંથી પાઇપલાઇન દ્વારા માલપુર અને મેઘરજ તાલુકાના ગામડાઓમાં પાણી આપવામાં આવે છે, ત્યારે માલપુરના વાત્રક નદીના જુના પુલ પાસે મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ પડ્યું છે. જેના કારણે ૨૦ ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉડયા છે. છેલ્લા પાંચ કલાકથી આ ભંગાણ પડ્યું છે, જેના કારણે લાખો લીટર પાણી નદીમાં વહી ગયું છે, આમ પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે.

