નવીદિલ્હી
પંજાબમાં પીએમ મોદીની સુરક્ષા ચૂક મામલે તત્કાલીન ફિરોઝપુર એસએસપીની લાપરવાહી સામે આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ ભૂલની તપાસ અંગે બનાવવામાં આવેલ કમિટીએ પોતાનો રીપોર્ટ રજૂ કરી દીધો છે. ઉલ્લખનીય છે કે પીએમ મોદી જાન્યુઆરી, ૨૦૨૨માં પંજાબની મુલાકાતે ગયા હતા. તે દરમિયાન તેમની સુરક્ષામાં મોટી ખામી સામે આવતા અફરાતફરી મચી હતી. આ મામલે તપાસની માંગણીની સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણાની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. કોર્ટે અગાઉ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાને આ મામલાની તપાસ માટે નિયુક્ત કર્યા હતા. આ મુદ્દો ૫ જાન્યુઆરી એ પંજાબના ભટિંડામાં ફ્લાયઓવર પર ખેડૂતોના જૂથે હાઇવેને ચક્કાજામ કર્યા પછી કાફલો અટવાઇ જવા સાથે સંબંધિત છે. સુનાવણીમાં સીજેઆઇ રમણાએ સમિતિનો અહેવાલ વાંચ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, પંજાબના ફિરોઝપુરના એસએસપી હરમનદિપ સિંહ હંસ તેમની ફરજ નિભાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા. તેમની પાસે પૂરતો સમય અને દળો ઉપલબ્ધ હોવા છતા માર્ગને લંબાવ્યો હતો. રીપોર્ટ અનુસાર, સ્પષ્ટ સૂચનાઓ હોવા છતા પીએમ પ્રવેશતા પહેલા એસએસપી સૂચનોનું પાલન કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા. સમિતિના અહેવાલમાં બ્લૂ બુકની સામયિક સમીક્ષા માટે સમિતિની રચના કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી. સીજેઆઇએ જણાવ્યું કે રીપોર્ટ સરકારને મોકલવામાં આવશે, જેથી તેઓ તેના પર કાર્યવાહી કરી શકે. ભારતના ચીફ જસ્ટિસ એન વી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બનેલી બેંચે લોયર્સ વોઇસ નામની એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઇએલમાં આ આદેશ આપ્યો હતો. તપાસ સમિતિની રચના કરવા માટે ૧૨ જાન્યુઆરીએ આપેલા આદેશમાં કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે, પ્રશ્નોને એકતરફી તપાસ પર છોડી શકાય નહીં. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના ડાયરેક્ટર જનરલ અથવા તેમના નોમિની આઇજી, કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પોલીસ મહાનિર્દેશક, પંજાબના એડીજીપી (સિક્યોરિટી) અને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલ આ સમિતિના સભ્યો છે.


