રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલથી ત્રણ દિવસ સુધી જામનગર જિલ્લાના પ્રવાસે છે. તા.૩૦ સપ્ટેમ્બરના રોજ મંત્રીશ્રી બપોરે ૧૨:૦૦ કલાકે સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. ત્યારબાદ સાંજે ૪:૦૦ કલાકે ટાઉનહોલ ખાતે જામનગર મહાનગર પાલિકા તથા જાડા આયોજિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનોના ઇ-ગૃહપ્રવેશ કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રે ૯:૦૦ વાગ્યાથી મંત્રીશ્રી ૨-હાથી કોલોની વિસ્તારમાં શ્રી આશાપુરા ગરબી મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવ, શ્રી કેશવજી અરજણ લેઉઆ પટેલ સમાજ સંચાલિત મૂળજીભાઈ બાવનજીભાઈ રાણપરિયા પાર્ટીપ્લોટ ખાતે શ્રી ખોડલધામ જામનગર સમિતિ આયોજિત નવરાત્રી મહોત્સવમાં તેમજ રાત્રે ૧૦:૩૦ કલાકે શ્રી એમ.ડી.મહેતા શૈક્ષણિક સંકૂલ ધ્રોલ આયોજિત નવરાત્રી મહોત્સવમાં હાજરી આપશે.
તા.૧ ઓક્ટોબરના રોજ મંત્રી શ્રી સવારે ૯:૦૦ કલાકે બાળા ખાતે બાળા-સૂર્યપરા રોડ પાસે દિવલના ખાતમુહૂર્ત તેમજ આશાપુરા મંદિર ચોકમાં પેવરબ્લોકના લોકાર્પણ પ્રસંગે હાજરી આપશે. સવારે ૧૦:૧૫ કલાકે મંત્રીશ્રી નેવી મોડા ખાતે રોડના ખાતમુહૂર્તમાં, સવારે ૧૧:૧૫ કલાકે ખીમલીયા થી ઠેબા રોડના ખાતમુહૂર્તમાં હાજરી આપશે. સાંજે ૪:૦૦ કલાકે મંત્રી શ્રી નાઘેડી ખાતે જાડા દ્વારા મંજૂર થયેલા પ્રાથમિક સ્કૂલથી મંદિર સુધીના સી.સી.રોડના ખાતમુહૂર્તમાં, સાંજે ૫:૦૦ કલાકે ધ્રાંગડા પાટિયા ખાતે પ્રવેશદ્વારના લોકાર્પણ પ્રસંગે હાજરી આપશે.
તા.૨ ઓક્ટોબરના રોજ મંત્રીશ્રી સાંજે ૪:૩૦ કલાકે ચંગા, રંગમતી ડેમ ખાતે સૌની યોજના અંતર્ગત નીરના વધામણાં કરશે.
