અમદાવાદ:
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી અંગેના ચૂંટણી પંચના પરિપત્રને પડકારતી અરજી પર મંગળવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવાની 9મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટે આ મુદ્દે રાજ્યના ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને આ મુદ્દે 6 ફેબ્રુઆરી સુધી સોગંદનામું રજૂ કરવાનો આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે મહાનગર પાલિકા અને પંચાયતની મતગણતરી એક સાથે રાખવામાં આવે.
રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાશે અને તેની મત ગણતરી પણ બે અલગ અલગ દિવસે થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 6 મહાનગર પાલિકાઓના ચૂંટણીના પરિણામ માટે મતગણતરી 23મી ફેબ્રુઆરીના રોજ થશે, જ્યારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી 2 માર્ચ રોજ હાથ ધરવાના ચૂંટણી પંચના આ નિણર્યને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
અમદાવાદ મહાનગર પાલિકા સહિત મહાનગર પાલિકાઓની ચૂંટણી 21મી ફેબ્રુઆરીના રોજ યોજાશે, જ્યારે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાશે તેવી ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.


