રાજકોટ
૧૭ દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવામાં આવતી પરીક્ષામાં બીબીએ સેમ-૫ અને બી.કોમ સેમ-૫નું લેવામાં આવનાર પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયું હતું. જાે કે, આ મામલે યુનિવર્સિટીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પરંતુ પેપર લીક પછી રહસ્ય હજુ અકબંધ છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા પછી પણ પોલીસ કાર્યવાહીમાં વિલંબ કરતા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ભાજપના એક અગ્રણીની કોલેજમાંથી પેપર લીક થયાની ચર્ચા ઉઠી છે. પહેલા ભક્તિનગર પોલીસ અને પછી ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ કરી ચૂકી છે. છતાં પેપર લીકનો ભેદ ઉકેલાયો નથી. પેપર લીક પ્રકરણમા પોલીસ ભેદ ઉકેલવાની છેલ્લી કડી સુધી પહોંચી હતી. પરંતુ હજી સુધી ભેદ ઉકેલાયો નથી. વિદ્યાર્થી સંગઠને લીક કરનાર સામે તટસ્થ કાર્યવાહી કરવાની માગ કરી છે. પેપર લીક થયું તે જ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈના મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા અને પેપર લીક મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ એનએસયુઆઈના પ્રમુખ રોહિત રાજપૂત દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. લીક થયેલા પેપરો સળગાવી પેપરની હોળી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ યુનિવર્સિટી વિરૂદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.


