Uncategorized

લોકડાઉનની પરિસ્થિતિમાં અમરેલી વહીવટી તંત્રની ઉત્કૃષ્ટ કામગીરી*

*લોકડાઉનની પરિસ્થિતિમાં અમરેલી વહીવટી તંત્રની ઉત્કૃષ્ટ કામગીરી*

*આઝાદી પછીના ઈતિહાસમાં સૌપ્રથમ વાર શિયાળબેટ ટાપુ પર અનાજનું વિતરણ*

*૭૪૮ કાર્ડધારકોને ૨૦,૫૦૦ કિલો જથ્થાનું વિતરણ*

*જાફરાબાદથી પીપાવાવ પોર્ટ જેટી સુધી ટ્રેક્ટરમાં અને ત્યાંથી દરિયાઈ માર્ગે હોડી મારફતે અનાજ પહોંચાડાયું*

*સ્પેશ્યલ કેસમાં શિયાળબેટ ગામે વ્યાજબી ભાવની દુકાન મંજૂર : આવતા મહિનાથી નવી દુકાન કાર્યરત થશે*

*આલેખન: સુમિત ગોહીલ, રાધિકા વ્યાસ*

જાફરાબાદનું શિયાળબેટ ગામ એટલે ઘૂઘવતા દરિયાની વચોવચ એકલો ટાપુ, કે જ્યાં કંઈ ચીજવસ્તુની જરૂરિયાત હોય તો હોડીમાં બેસી ટાપુ બહાર જવું પડે. કુદરતી રીતે કવોરંટાઈન કે સેલ્ફ આઈસોલેશનમાં રહેતા ગ્રામજનો માટે લોકડાઉનની પરિસ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓ મેળવવી ખૂબ જ કપરું બન્યું હતું. પરંતુ જિલ્લા વહીવટી તંત્રે ગ્રામજનોની ખાસ દરકાર કરી. તંત્ર દ્વારા શિયાળબેટ ગામમાં દરિયાઈ માર્ગે જથ્થો લઇ જઇને ૭૪૮ રેશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા, ખાંડ, દાળ વગેરે જીવનજરૂરી ચીજવસ્તુઓના કુલ ૨૦,૫૦૦ કિલો જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું. શિયાળબેટવાસીઓ આ ઐતિહાસિક ઘટનાને નજર સમક્ષ નિહાળી હતી.

અનાજ વિતરણની કામગીરી વિશે વધુ માહિતી આપતાં શિયાળબેટના મંત્રીશ્રી એસ. યુ. પઠાણે જણાવ્યું હતું કે, ટાપુ ઉપર અનાજ વિતરણ એ એક મોટો પડકાર હતો. સૌપ્રથમ જાફરાબાદના ગોડાઉનથી અનાજ તેમજ જરૂરી ચીજવસ્તુઓનો જથ્થો જેટી પર પહોંચાડવામાં આવ્યો ત્યારબાદ દરિયાઈ માર્ગે હોડી મારફતે શિયાળબેટ લઈ જવામાં આવ્યો. બેટ પર ઇતિહાસમાં સૌપ્રથમ વખત આ રીતે અનાજ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યમાં ગામવાસીઓ, પંચાયતના સરપંચનો ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો. આ વિતરણ થકી ગામવાસીઓએને ખૂબ જ સંતોષ થયો છે.

વધુ વિગતો આપતા શિયાળબેટના સરપંચ શ્રીમતી ભાનુબેન શિયાળ અને શ્રી હમીરભાઈ શિયાળે જણાવ્યું હતું કે, ઇતિહાસમાં સૌપ્રથમ વખત બેટ પર આ પ્રકારના અનાજ વિતરણની કામગીરી થઈ છે. બેટ જેવા વિસ્તારમાં અનાજ તેમજ અન્ય ચીજ વસ્તુઓ પહોંચાડવીએ ખૂબ જ કપરું કાર્ય છે. સરકારશ્રી દ્વારા લેવાયેલા આ અભૂતપૂર્વ નિર્ણય થકી આજે અનેક ટાપુવાસીઓના ચૂલા શરૂ રહી શક્યા છે. એ બદલ સમગ્ર શિયાળબેટવાસીઓ સરકારના આભારી છે. ટાપુ પર વસતા લોકોમાં સાહસિકતાનો ગુણ તો સ્વાભાવિકપણે જ રહેલો છે. અને જ્યારે સરકાર પણ અમારી સાથે છે ત્યારે અમે દરેક મુશ્કેલીનો સામનો કરીને પણ ટાપુવાસીઓને મદદરૂપ થવા તત્પર છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિયાળબેટ ખાતે દરિયાકિનારા પરથી વિતરણના સ્થળે માલસામાન પહોંચાડાયા બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે એક-એક મીટરના અંતરે સોશિયલ ડિસ્ટનસિંગના નિયમનું સંપૂર્ણ પાલન સાથે અનાજ વિતરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૪૪૯ એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકો, ૫૮ બી.પી.એલ. કાર્ડધારકો તેમજ ૨૪૧ એ.પી.એલ.-૧ કાર્ડધારકોને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, દાળ વગેરે આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિતરણના કાર્યમાં ટાપુવાસીઓનો શિસ્તબદ્ધ સાથ-સહકાર પ્રસંશાને પાત્ર છે. લોકડાઉનના કપરા સમયમાં જ્યારે લોકો રેશનીંગની દુકાન સુધી જઇ શકે તેમ નથી ત્યારે સરકારે સ્પેશ્યલ કેસમાં મંજૂરી આપી રેશનીંગની દુકાન લોકો સુધી પહોંચાડી દીધી છે. ત્યારે જીવન આવશ્યક ચીજવસ્તુઓ મળતાં ગ્રામજનોએ પ્રશાસનનો આભાર માન્યો હતો.

આ તકે એક લાભાર્થીએ પોતાનો રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે લોકડાઉન જાહેર થતાં રોજગાર-ધંધા બંધ છે, તેમજ અમે બેટથી બહાર જઈ શકતા નથી. આવા સમયે સરકાર તરફથી બેટ સુધી જીવન જરૂરિયાતની ચીજો પહોંચાડવામાં આવી તે ખરેખર અમારા માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. હાલ દરેક જરૂરિયાતમંદ લોકોને આ ચીજવસ્તુઓ મળતાં અમે સૌ ખરા દિલથી સરકારનો આભાર માનીએ છીએ.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

IMG-20200421-WA0030-1.jpg IMG-20200421-WA0029-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *