નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨-૪ મે દરમિયાન જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની મુલાકાત લેશે. આ પ્રધાનમંત્રી મોદીની આ વર્ષની પહેલી વિદેશ યાત્રા હશે. બર્લિનમાં વડાપ્રધાન મોદી જર્મનીના ફેડરલ ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસનના આમંત્રણ પર કોપનહેગન જશે. તેઓ ડેનમાર્ક આયોજિત બીજી ભારત-નોર્ડિક સમિટમાં પણ ભાગ લેશે. ૪ મેના રોજ પરત ફરતી વખતે વડાપ્રધાન પેરિસમાં થોડા સમય માટે રોકાશે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે. ભારત-ફ્રાંસની મિત્રતાની ૭૫મી વર્ષ ગાંઠની ઉજવણી પણ કરવામાં આવશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન બીજીવાર સત્તા પર આવ્યાં છે. પીએમ મોદી તેમને મળીને શુભેચ્છા પાઠવશે.દુનિયાભરમાં પોતાની વિદેશનીતિ માટે ખુબ જ જાણીતા છે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. મોદીની કૂટનીતિઓના તો તેમના દુશ્મનો પણ કાયલ છે. હાલમાં પાડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ, ઈમરાન ખાન પાસેથી પ્રધાનમંત્રીની ખુરશી છીનવાઈ ગઈ. એ સમયે ઈમરાન ખાને પણ મોદીને યાદ કરીને કહ્યું હતુંકે, હાલ ભારતની સ્થિતિ ખુબ મજબુત છે. ભારત હાલ વૈશ્વિક સ્તરે પોતાની વિદેશનીતિને કારણે ખુબ સન્માન ધરાવે છે. ત્યારે એજ વિદેશનીતિને રાષ્ટ્રહિતમાં આગળ ધપાવવા પીએમ મોદી આ વર્ષના પહેલાં વિદેશ પ્રવાસની તૈયારીઓ કરી રહ્યાં છે.


