Delhi

બંને ભાઈઓ અઢળક પૈસા મળવાના હોવાનું રટણ કરતા હતા ઃ ગ્રામજન

નવીદિલ્હી
મહારાષ્ટ્રના મ્હૈસાલ ગામના રહેવાસીઓએ સોમવારે જણાવ્યું હતું કે, દિવંગત ભાઈઓ પોપટ વાનમોર અને માણિક વાનમોરે વિદેશની કોઈ કંપની પાસેથી ઘણા રૂપિયા મળવાના હોવાનું અવારનવાર કહેતા હતા. એક ગામવાસીએ કહ્યું છે કે, બંને પરિવારના સભ્યો શિક્ષિત હતા. માણિક પશુચિકિત્સક હતો, જ્યારે પોપટ શિક્ષક હતો. પોપટની પુત્રી કોલ્હાપુરની બેંકમાં નોકરી કરતી હતી. આખા પરિવારે આવું આત્મઘાતી પગલું ભર્યું એ આઘાતજનક વાત છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, બંને ભાઈઓ ગામલોકો સાથે હળીમળીને રહેતા ન હતા. વનમોર બંધુઓ ઘણી વાર કહેતા હતા કે વિદેશ સ્થિત કંપની પાસેથી તેમને ખૂબ પૈસા મળવાના છે. બંને ભાઈઓ કહેતા હતા કે તેમને ૩૦૦૦ કરોડ રૂપિયા મળવાના છે. અન્ય ગામવાસીએ કહ્યું હતું કે, તેણે સાંભળ્યું છે કે વનમોર બંધુઓએ પોતાનું જૂનું મકાન વેચી દીધું હતું અને નવા મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસે આ ઘટનાને સામૂહિક આત્મહત્યા ગણાવી છે. તમામ નવ લોકોના મોતનું કારણ ઝેર ગટગટાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાંગલી પોલીસે જણાવ્યું હતું કે, પરિવારના સભ્યોના ત્રણ મૃતદેહો એક જ જગ્યાએથી મળી આવ્યા હતા અને બાકીના છ મૃતદેહો ઘરમાંથી જુદી જુદી જગ્યાએથી મળી આવ્યા હતા. પોલીસને આશંકા છે કે મોત ઝેર પીવાથી થયા છે. જાે કે પોલીસે એમ પણ કહ્યું હતું કે, મોતનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ બાદ જ જાણી શકાશે. પ્રારંભિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે પરિવાર ગંભીર આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો હતો. કોઈ પણ સભ્યના શરીર પર ઈજા કે ઈજાના નિશાન મળ્યા નથી કે કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી નથી. ઘરમાં બે ભાઈનો પરિવાર રહેતો હતો. દિલ્હીના બુરાડીમાં ૧ જુલાઈ, ૨૦૧૮ના રોજ એક જ પરિવારના ૧૧ સભ્યોના શબ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તેને સામૂહિક આત્મહત્યા ગણાવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે પરિવારે ઘરે અનુષ્ઠાનની તૈયારી કરી હતી ગુજરાત અને રાજસ્થાનમાં પણ આવા જ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ તમામ કિસ્સામાં મૃત હાલતમાં મળી આવેલા લોકોના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આવા મોત પાછળ તાંત્રિક ક્રિયા પણ મોટું કારણ માનવામાં આવે છે.મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી એક જ પરિવારના ૯ સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હોવાની ઘટનાથી સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ છે. મુંબઈથી ૩૫૦ કિમી દૂર મ્હૈસાલ ગામમાં આ મૃતદેહો મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં તમામ મોત ઝેર પીવાથી થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસને મૃતદેહો નજીક જંતુનાશક દવાઓ પણ મળી આવી છે. સોમવારે બપોરે આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *