નવીદિલ્હી
ભારત અને અમેરિકા વચ્ચેની ૨ ૨ વાતચીત બાદ બ્લિન્કન, એસ જયશંકર, રાજનાથ સિંહ અને અમેરિકી સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિને પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. આ દરમિયાન માનવાધિકાર સાથે સંકળાયેલા સવાલ પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા નથી થઈ. એસ જયશંકરે જણાવ્યું કે, બેઠક દરમિયાન તેમણે સૌએ માનવાધિકારના મુદ્દા પર ચર્ચા નથી કરી. તે બેઠક મુખ્યરૂપે રાજકીય-સૈન્ય મામલાઓ પર વાતચીત માટે હતી. ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ૨ ૨ વાર્તામાં માનવાધિકાર મુદ્દે ચર્ચા નથી થઈ. જાેકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, જ્યારે પણ આ મુદ્દે ચર્ચા થશે ત્યારે ભારત પોતાનો મત રજૂ કરવામાં અચકાશે નહીં. જયશંકરે જણાવ્યું કે, લોકો ભારત અંગે પોતાનો વિચાર રજૂ કરી શકે છે. ભારત પણ અમેરિકામાં માનવાધિકારોની સ્થિતિ પર નજર રાખે છે. વિદેશ મંત્રીના કહેવા પ્રમાણે એક પ્રકારની લોબી અને વોટ બેંક ભારત અંગેના આ પ્રકારના મુદ્દાઓને આગળ લાવે છે.
